પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને ચીનની બે દિવસની મુલાકાત લીધી. તેમની આ મુલાકાતના બે દિવસ પહેલા પાકિસ્તાનની સેનાના વડા કમાર જાવેદ બાજવા પણ બીજીંગ પહોંચી ગયા હતા. તેમણે સેનાના વડા જનરલ ઝાંગ સાથે તેમજ ચીની સેનાના અન્ય ટોચના અધિકારીઓ સાથે મંત્રણાઓ કરી હતી. ત્યારબાદ જનરલ બાજવા, પ્રધાનમંત્રી ઇમરાનખાનની સાથે જ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગને પણ મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ઇમરાનખાને છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત ચીનની મુલાકાત લીધી છે. બંને આગેવાનોએ તેમની મંત્રણાઓ બાદ જારી કરેલા સંયુક્ત નિવેદનમાં સમુદાય સહકારના આધારે નવા યુગના નિર્માણ માટે ચીન તથા પાકિસ્તાન વચ્ચેના સર્વકાલીન વ્યુહાત્મક સહકારને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો. અપેક્ષા મુજબ આ નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે પણ એક ફકરામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જો કે, ચીને કાશ્મીર મુદ્દે ભારત સાથે મંત્રણા વડે ઉકેલવાના પ્રયાસો કરવાના સ્પષ્ટ સંકેતો પાકિસ્તાનને આપ્યા છે. એક તરફ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ ભારતની મુલાકાતે આવવાના હતા અને બીજી તરફ પેરીસમાં યોજાનારી આર્થિક કાર્યવાહી કાર્યદળ - એફ.એ.ટી.એફ.ની બેઠકમાં, પાકિસ્તાને આતંકવાદ સામે કરેલી કાર્યવાહીની સમીક્ષા કરીને તેને બ્લેકલીસ્ટ કરવું કે નહીં એ મહત્વનો નિર્ણય લેવાવાનો હતો તે ઘટનાઓ અગાઉ જ પ્રધાનમંત્રી ઇમરાનખાને ચીનની મુલાકાત લીધી હતી.
ઇમરાનખાન તથા જનરલ બાજવા, ચીનના ટોચના નેતાઓને મળીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરીને ચીન તથા પાકિસ્તાન હજી પણ કાશ્મીર મુદ્દે એકસમાન વલણ ધરાવે છે તે બાબતને વિશ્વ સમુદાય સમક્ષ મુકવા ઇચ્છતા હતા. જો કે ભારતની મુલાકાત વખતે ચીનના રાષ્ટ્રપ્રમુખ જીનપીંગે મહાબલીપુરમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં કાશ્મીરનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નથી.
તો બીજી તરફ ઇમરાનખાને, સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં કરેલા પ્રવચન તથા તેમની ચીનની મુલાકાતો અંગે પાકિસ્તાનમાં મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. પાકિસ્તાનના મોટાભાગના સમીક્ષકો તેમની કામગીરીમાં વાસ્તવિકતાની નજીક રહ્યા હતા. તેમણે પણ તારવ્યું હતું કે, ભારતે કાશ્મીર મુદ્દે કલમ 370 તથા 35 એ રદ કરવાના નિર્ણય તથા કાશ્મીરની પુનર્રચનાના નિર્ણય ઉપર ઇમરાને પ્રભાવ પાડવા કરેલા પ્રયાસો નિષ્ફળ ગયા છે.
બીજી રીતે કહીએ તો ભૂતકાળમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો, બેનઝીર ભુટ્ટો, અને નવાઝ શરીફે આ પ્રકારના ભાષણો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આપ્યા હતા. જોકે, તેના લીધે કાશ્મીર અંગેના ભારતના વલણમાં કોઈ ફેરફાર થયો ન હતો. સમગ્ર વિશ્વ વ્યવસ્થામાં ભારતનો વધતો જતો પ્રભાવ અને ભારત સાથેના વિશ્વની સત્તાઓના સંબંધો આ બાબત પણ કાશ્મીર મુદ્દે ભારતના વલણમાં મદદરૂપ બની છે.
ઇમરાન ખાન અને તેમના સાથીઓને એ વાસ્તિવકતા સમજાઈ છે કે, ભારતે લીધેલા રાજદ્વારી પગલાઓના કારણે પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને પાકિસ્તાની સેનાની ટીકા કરતાં જણાવ્યું હતું કે, ઇમરાન ખાન એ માત્ર એક કઠપૂતળી સમાન છે અને તેમના નિયંત્રણો અન્ય બળના હાથમાં છે. પાકિસ્તાનમાં મૌલાના ફઝલુર રહેમાન ઇસ્લામાબાદમાં રેલી યોજવાના છે. તેઓ ઇમરાન ખાનની નિષ્ફળ રાજનીતીઓનો પોતાના રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં માંગે છે.
પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર સામે વધતો જતો ફુગાવો વધતી જતી બેરોજગારી, આવક અને મૂડીરોકાણનું ઘટતું જતું પ્રમાણ જેવા પડકારો ઊભા થયા છે. વૈશ્વિક સ્તરની સંસ્થાઓના સર્વેના તારણો જણાવે છે કે, પાકિસ્તાનની અર્થતંત્રની મજબૂતી અંગે લોકોમાં વિશ્વાસ ઘટતો જાય છે. લગભગ 79 ટકા લોકો માને છે કે, પાકિસ્તાન ખોટી દીશામાં આગળ વીધી રહ્યું છે.
ઇમરાન ખાનની ઘટતી જતી લોકપ્રિયતા બિલાવલ ભુટ્ટો અને ફઝલુર રહેમાનના રાજકીય પ્રભાવને વધુ મજબૂત બનાવી રહી છે.
લેખક - ડોકટર - અશોક બેહુરીયા,
દક્ષિણ એશિયા કેન્દ્રના વરિષ્ઠ ફેલો
શ્રીરંગ તેંડુલકર, નવીનભાઈ
Comments
Post a Comment