કેન્દ્રમાં મોદી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ તરત જ વિદેશ રાજ્યમંત્રીને ત્રણ દિવસની નાઇજીરીયાની મુલાકાતે મોકલ્યા છે, એ બાબત દર્શાવે છે કે, ભારત આફ્રિકાના દેશો સાથે સંબંધો વધુ સુદૃઢ બનાવવા ખૂબ જ ઉત્સુક છે. વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને નાઇજીરીયામાં લોકશાહી દિવસની ઉજવણીમાં ભાગ લેવા ઉપરાંત નાઇજીરીયાના રાષ્ટ્રપ્રમુખ મુંહમદુ બુહારી અને ઉપરાષ્ટ્રપ્રમુખ યેમી ઓસીનબાજા, સાથે પણ મંત્રણાઓ કરી છે. આ ઉજવણીમાં ભાગ લઈ રહેલા દક્ષિણ આફ્રિકા, ઇથોપીયા તથા ઇજીપ્તના વિદેશમંત્રીઓ સાથે તથા અન્ય આગેવાનો સાથે પણ વાતચીત કરી છે. ભારતના વિદેશરાજ્યમંત્રીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સુદૃઢ સંબંધો અંગે માહિતી મળે છે. વર્ષ ૨૦૦૭માં ભારત અને નાઇજીરીયાના સંબંધા વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધ્યા હતા. બંને દેશો સંરક્ષણ ક્ષેત્રે પણ મજબૂત સંબંધો ધરાવે છે. ભારત અને નાઇજીરીયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૧.૭૬ અબજ ડોલરનો હતો. નાઇજીરીયામાં ભારતીયો નોંધપાત્ર સંખ્યામાં વસવાટ કરે છે. આફ્રિકાના દેશો, ભારતને ખનીજતેલનો પુરવઠો કરનાર દેશોમાં પાંચમા ક્રમે છે તથા સીએનજીનો પુરવઠા કરનાર દેશો બીજા ક્રમે છે. નાઇજીરીયા ભારતમાં આયાત થનાર ખનીજ તેલમાં ૧૨ ટકા હિસ્સો ધરાવે છે. આમ ઉર્જા જરૂરિયાત ક્ષેત્રે નાઇજીરીયા ભારતની દૃષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. એટલું જ નહીં પણ વેપારની દૃષ્ટિએ સમગ્ર આફ્રિકા ખંડ ભારતની દૃષ્ટિએ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. શ્રી મુરલીધરનની મુલાકાત પછી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતા મહિને આફ્રિકાની મુલાકાત લે, તેવી સંભાવના છે. ભારત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ભારત તથા આફ્રિકા વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા નક્કર પગલાં ભર્યા છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ સુધીમાં ઉચ્ચસ્તરીય ૨૫ જેટલી મુલાકાતો લેવામાં આવી હતી. આ બાબત પુરવાર કરે છે કે, નરેન્દ્ર મોદી સરકાર આફ્રિકા સાથેના સંબંધો હજુ મજબૂત બનાવવા ઉત્સુક છે. આ વર્ષે દિલ્હીમાં ભારત – આફ્રિકા શીખર બેઠક યોજાશે, જેમાં આફ્રિકાના દેશોના ૪૦ જેટલા વડાઓ ભાગ લે, તેવી સંભાવના છે. વર્ષ ૨૦૧૫માં ભારતે યોજેલા ભારત આફ્રિકા શીખર બેઠકમાં ૪૧ આફ્રિકી દેશોના વડાઓ ઉપÂસ્થત રહ્યા હતા. નિરીક્ષકો માને છે કે, ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદનું કાયમી સભ્યપદ મળે તે માટે આફ્રિકાના ૫૫ જેટલા દેશોએ સમર્થન આપ્યું છે. વર્ષ ૨૦૧૫ની આ શીખર બેઠકમાં ભારતે આફ્રિકાના દેશોને ૧૦ અબજ ડોલરનું ધિરાણ રાહતના દરે અને ૬૦ કરોડ અમેરિકી ડોલરની અનુદાન સહાય આપવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી ભારતીય કંપનીઓએ આફ્રિકામાં ૫૪ અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. તેમજ ભારતનો આફ્રિકા ખંડના દેશો સાથેનો વેપાર ૬૨ અબજ ડોલરને આંબી ગયો છે. જે અગાઉના વર્ષ કરતાં ૨૧ ટકાથી વધુ રહ્યો છે. આફ્રિકામાંથી ભારતમાં થતી આયાતોમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતે અત્યાર સુધીમાં આફ્રિકામાં ૪૪ દેશોને ૧૧ અબજ ડોલરનું ધિરામ આપ્યું છે. આ ઉપરાંત ભારત સરકારે આગામી ૨૦૨૧ સુધીમાં આફ્રિકાના દેશોમાં ૧૮ નવા રાજદૂતાવાસો શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આફ્રિકાના દરિયાકિનારાના દેશો તથા ભારત બ્લુ ઇકોનોમી અથાર્ત દરિયાઈ પેદાશો ઉપર આધારિત અર્થતંત્રના લાભો લઈને, દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત બ્રાઝીલ, રશીયા, ભારત અને ચીન તથા દક્ષિણ આફ્રિકાનું બ્રિક્સ સંગઠન, ભારત, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાનું આઈબીએસએ તથા ડબલ્યૂટીઓ જેવા બહુરાષ્ટ્રીય સંગઠનો દ્વારા ભારત અને આફ્રિકાના દેશો સહકાર સુદૃઢ બનાવી રહ્યા છે. બંને પક્ષોના અધિકારીઓએ જણાવ્યું છે કે, દરિયાઈ ક્ષેત્રનો સહકાર મજબૂત બનાવવાની બાબતને ભારત અને આફ્રિકાના દેશો ધ્યાન કેન્દ્રીત કરશે.
લેખકઃ વિનીત વાડી, પત્રકાર
Comments
Post a Comment