મોદી સરકારની બીજી મુદતનું પ્રથમ અંદાજપત્ર રજુ કરાયું છે. વેપાર – ઉદ્યોગ ક્ષેત્રની ધારણા મુજબ જ આ અંદાજપત્ર – વેપાર – ઉદ્યોગની પ્રક્રિયા સરળ બનાવનારું તથા આ ક્ષેત્રના વિકાસને નડતા અવરોધો દૂર કરનારું રહ્યું છે. આ અંદાજપત્રમાં દેશભરમાં ડિજીટલાઇઝેશનની પ્રક્રિયા મજબૂત બનાવીને લોકોનું જીવન ધોરણ સરળ અને સુવિધા યુક્ત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.
ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનશે. તેમજ આગામી વર્ષોમાં તેને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા, આ અંદાજપત્રમાં ભાવિ આયોજન રજુ કરાયું છે.
આ વખતનું અંદાજપત્ર, ભૂતકાળના અંદાજપત્ર કરતા અલગ રજુઆત કરતું, તેમજ દરેક નાગરિકના જીવન – ધોરણને વધુ સારૂ બનાવવા માટે સરકાર – વેપાર જગત તથા નાગરિકોના જાડાણને મહત્વ આપતું અંદાજપત્ર છે. સરકારનું ધ્યેય વિકાસલક્ષી તથા ગરીબલક્ષી અંદાજપત્ર બનાવવાનું હોવાથી, આ બજેટમાં ખાનગી ક્ષેત્ર સહિત લાગતા વળતાઓ સાથે ભાગીદારીમાં અર્થપૂર્ણ સંપત્તિ નિર્માણનું આયોજન કેન્દ્રમાં રખાયું છે.
સંપત્તિના યોગ્ય નિર્માણ વગર નાગરિક કલ્યાણનું ધ્યેય સાધવું શક્ય નથી. આથી જ આ વખતના અંદાજપત્રમાં વાર્ષિક ૪૦૦ કરોડ રૂપિયાના ટર્નઓવર વાળા ઔધોગિક અને વેપાર એકમોના કોર્પોરેટ વેરામાં ૨૫ ટકા રાહતની જાગવાઇ છે.
આના પરિણામે ૯૯ ટકા જેટલી ભારતની કંપનીઓને આ પગલાંનો લાભ મળશે. આ બચતનો તેઓ ફરી મૂડીરોકાણ માટે પણ ઉપયોગ કરી શકશે. આ પ્રકારની કામગીરી જ માગણી, અને ઉત્પાદનને નવું બળ પુરુ પાડી શકે છે.
આ વખતના અંદાજપત્રમાં માળખાકીય સુવિધાઓ તથા સંપર્ક ઉપર ખાસ ભાર મૂકાયો છે. તેમજ, જળમાર્ગ, રેલવે માર્ગ તથા વિમાનમથકો જેવા હાલ ચાલી રહેલા પ્રોજેક્ટો ઝડપથી આગળ વધારવા ઉપર ભાર મૂકાયો છે. આ કામગીરીમાં ખાનગી ક્ષેત્રનો સહકાર મેળવવાની નેમ રખાઇ છે.
આ બધા જ પગલાંઓના કારણે વિવિધ ક્ષેત્રમાં કામગીરી ઝડપી બનશે. વેપાર – ઉદ્યોગ ક્ષેત્રે મૂડીરોકાણ વધારવા આ અંદાજપત્રમાં વિદેશી મૂડીરોકાણકારોને માળખાકીય સુવિધા માટે ડેટ ફંડોમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપવું, બિન – નિવાસી ભારતીયોને શેરબજારમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપવાની દરખાસ્ત છે.
ધિરાણની વસુલાત નહી થવાથી – એન.પી.એ.ની સમસ્યાથી પીડાતી બેંકો માટે આઇ.બી.સી. કોડનો અસરકારક ઉપયોગ કરવાની સાથે સાથે તેમને ૭૦ હજાર કરોડ રૂપિયાની મૂડી આપવાની દરખાસ્ત છે. આ ભંડોળ મળવાથી ધિરાણ આપવાની બેંકોની કામગીરી યથાવત રહેશે.
આ વખતના અંદાજપત્રમાં જાહેર ક્ષેત્રમાંથી સરકારી રોકાણ પાછૂ ખેંચીને એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા એક લાખ, ૫ હજાર કરોડ રૂપિયા ઉભા કરવાની નેમ રખાઇ છે.
વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે આ વખતના અંદાજપત્રમાં ઉડ્ડયનક્ષેત્રે વધુ એફ.ડી.આઇ. ને મંજુરી આપવાની દરખાસ્ત છે. એવી જ રીતે વીમાના ક્ષેત્રે પણ એફ.ડી.આઇ. ના ધારાધોરણો હળવા બનાવવા વિચારણા ચાલી રહી છે. એવી જ રીતે બાંધકામ તથા પરિવહન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર બેંક સિવાયની ફાઇનાન્સ કંપનીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
નાગરિકોને ગુણવત્તાવાળા ઉત્પાદનો મળી શકે તે હેતુથી સીંગલ બ્રાન્ડ સેક્ટરમાં એફ.ડી.આઇ. ના ધારાધોરણો હળવા બનાવવાની પણ દરખાસ્ત છે. અંદાજપત્રમાં સોનુ તથા ખનીજતેલ પરની આયાત ડ્યુટીમાં વધારો કરવાની દરખાસ્ત કરવાની સાથે – સાથે ખુબ જ ધનવાન લોકો પરના આવકવેરામાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે.
આમ સમગ્ર રીતે આ વખતના અંદાજપત્રમાં આર્થિક ક્ષેત્રના ધારાધોરણો જાળવી રાખવાની સાથે – સાથે વિકાસને ગતિ આપવા પગલાં સૂચવવામાં આવ્યા છે.
લેખક ઃ જી. શ્રીનિવાસન, વરિષ્ઠ આર્થિક બાબતોના પત્રકાર
Comments
Post a Comment