બ્રિક્સ સંગઠનની રચના થઇ ત્યારથી ભારતના બ્રીક્સના અન્ય સભ્ય દેશો સાથેના બહુસ્તરીય સંબંધો ભારતની વિદેશ નિતીમાં વ્યૂહાત્મક અને મહત્વનું સ્થાન ધરાવતા થયા છે.
બ્રિક્સ દેશોની આર્થિક બાબતોની નોંધ વૈશ્વિક સ્તરે લેવાય છે અને આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બ્રાઝીલના બ્રાસીલીયા ખાતે યોજાયેલી 11મી બ્રિક્સ સંગઠનની શિખર પરિષદમાં આપેલી હાજરી આગવું મહત્વ ધારણ કરે છે.
આ વખતની બેઠકમાં, બ્રિક્સ દેશોએ સંગઠનના માળખામાં રહીને આતંકવાદ વિરોધી કામગીરીમાં સહકાર વધારવા વિચારણા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બ્રિક્સ વેપાર પરિષદને સંબોધતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, બ્રિક્સ દેશો વિશ્વના અર્થતંત્રના વિકાસમાં 50 ટકા જેટલું યોગદાન આપે છે.
વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસની ગતિ થોડી મંદ પડી છે છતાં બ્રિક્સ સંગઠનના દેશોએ આર્થિક વિકાસ ઝડપી બનાવ્યો છે અને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે.
તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોની વિવિધતા, તેમના બજારોનું કદ આ બધી જ બાબતો સંગઠનના સભ્ય દેશો માટે મહત્વની બની રહેશે.
ભારત એ ઘણી બધી તકો પૂરો પાડતો દેશ છે તેમ જણાવીને પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારતમાં ઉપલબ્ધ મૂડીરોકાણ અને વેપારને અનુકૂળ વાતાવરણની વિગતો આપી હતી.
તેમણે બ્રિક્સ દેશોના વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધીઓને ભારતમાં મૂડીરોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
તેમણે હવે પછીની બ્રિક્સ દેશોની શિખર પરિષદ પહેલા સભ્ય દેશો સંયુક્ત સાહસો સ્થાપી શકે તે હેતુથી સહકાર વધારવાના ક્ષેત્રો તારવી કાઢવા બ્રિક્સના સભ્ય દેશોને અનુરોધ કર્યો.
બ્રિક્સનો મંચ, સભ્ય દેશોને પરસ્પર હિતને લગતા તથા વૈશ્વિક સ્તરે મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવાની તક પૂરી પાડે છે.
શિખર પરિષદની સાથે-સાથે, બ્રિક્સ દેશોના વડાઓએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે ચર્ચા વિચારણા કરી હતી.
બેઠક બાદ ટિવટર ઉપર શ્રી મોદીએ કહ્યું કે, અમે બંનેએ ભારત અને રશિયાના સંબંધો મજબૂત બનાવવા અંગે વાતચીત કરી હતી. ભારત અને રશિયા વેપાર, સલામતી અને સાંસ્કૃતિ ક્ષેત્રે સહકાર વધારી રહ્યા છે.
શ્રી પુતીને જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચેનો વેપાર 17 ટકા વધ્યો છે. શ્રી પુતીને આવતા વર્ષે મે માસમાં યોજાનાર વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા શ્રી મોદીને આમંત્રણ આપ્યું હતું.
શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જીનપીંગ સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરી. તમિલનાડુના મહાબલીપુરમાં યોજાયેલી અનૌપચારીક બેઠક બાદ, શ્રી મોદી અને શ્રી જીનપીંગે એકાદ મહિનામાં બીજી વખત મંત્રણાઓ કરી છે.
તાજેતરમાં ભારતે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી આર.સી.ઇ.પી. સમજૂતીમાં જોડાવાનો ઇન્કાર કર્યા બાદ બંને દેશોના વડાઓ પ્રથમવાર બ્રાસીલીયામાં મળતા આ બેઠક મહત્વની બની હતી. ઉલ્લેખનીય છે કે, ભારત આર.સી.ઇ.પી.માં જોડાય તેવી ચીનની ઇચ્છા હતી.
શ્રી જીનપીંગે આવતા વર્ષે ચીનમાં યોજાનાર અનૌપચારીક બેઠકમાં ભાગ લેવા ચીન આવવાનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યું હતું.
બંને આગેવાનોએ સરહદી બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવા બંને દેશોના પ્રતિનિધીઓ એક બેઠક યોજશે – એ મુદ્દે સહમતી સાધી હતી.
બંને અગ્રણીઓએ, સરહદી વિસ્તારમાં શાંતિની જાળવવાના મહત્વને ઓળખીને દ્વિપક્ષીય સહકાર મજબુત બનાવવા ચર્ચા કરી હતી.
શ્રીરંગ, નવીન
લેખિકા – રૂપા નારાયણ દાસ, વ્યુહાત્મક વિશ્લેષક
Comments
Post a Comment