છેલ્લા એકાદ મહિનામાં પાકિસ્તાનમાં જે ઘટનાઓ બની છે, તેના લીધે અગાઉથી જ સમસ્યાઓમાં અટવાયેલા પાકિસ્તાનના રાજકારણમાં નવા મુદ્દાઓ ઉમેરાયા છે.
ફઝલુર રહેમાને આઝાદીની કૂચનું આયોજન કર્યુ ત્યારથી છેલ્લા એકાદ માસ સુધી પાકિસ્તાનનું રાજકારણ આ મુદ્દાની આસપાસ જ ફરી રહ્યું છે. એવી જ રીતે ઘણા સમયથી બિમાર એવા પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ને સારવાર માટે વિદેશ જવા દેવા કે નહી એ મુદ્દો – પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
પાકિસ્તાનના સમુહ પ્રસાર માધ્યમોમાં ખાસ કરીને પાકિસ્તાનના ભવિષ્યને લગતા મહત્વના મુદ્દાઓના બદલે, આવા મુદ્દાઓ જ કેન્દ્રમાં રહ્યાહતા.
ફઝલુર રહેમાને સુક્કુર ખાતેથી શરુ કરેલી આઝાદીની કૂચ, થોડાક દિવસો બાદ ઇસ્લામાબાદ પહોંચી હતી. દૈનિકોમાં આ કૂચને બહોળી પ્રસિદ્ધિ મળી. મૌલાનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઇમરાન સરકારને શાસનમાંથી દૂર કરવી તે જ તેમની કૂચનું મુખ્ય ધ્યેય છે.
મૌલાનાના કૂચમાં જોડાયેલા લોકો લાકડીઓ ફેરવતા આગળ વધતા હોય તેવા વિડિયો પણ જાહેર થયા. જેના લીધે વિશ્લેષકોએ મત વ્યક્ત કર્યો હતો કે હિંસક ઘટનાઓના પગલે વર્તમાન ઇમરાન સરકારનું પતન થઇ શકે છે.
ત્યારપછી પાકિસ્તાન સરકારે એક તરફ કડક અભિગમ અપનાવવાનો દેખાવ કર્યો તો બીજી તરફ મૌલાના તથા અન્ય વિપક્ષો સાથે વાતચીત શરુ કરી. આના પગલે મૌલાનાએ તેમના સહકારીઓને ઇસ્લામાબાદમાંથી પાછા ફરીને પાકિસ્તાનના નાના શહેર – નગરોમાં રેલીઓ યોજીને ઇમરાન સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો.
આ સમગ્ર બાબતોમાં પાકિસ્તાની સેનાનું સમર્થન તથા દબાણ વધારવાની નીતિ સ્પષ્ટ રીતે જોઇ શકાઇ હતી. રેલીનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચઢ્યો હતો ત્યારે જ ભુતપૂર્વ પ્રધાનમંત્રીને સારવાર માટે વિદેશમાં જવા દેવાની મંજુરીનો મુદ્દો આગળ વધારવામાં આવ્યો. જાણે લોકોનું ધ્યાન રેલીથી હટાવવા માટે જ આવો પ્રયાસ થતો જણાયો હતો.
સાત વર્ષનો જેલવાસ ભોગની રહેલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને હદયરોગની તકલીફ વધી ગઇ અને તેમના પ્લેટલેટસ નાટ્યાત્મક રીતે ઓછા થવા લાગ્યા. લાહોરની વડી અદાલતે પણ શરીફની શારીરિક તકલીફો ધ્યાનમાં લઇને તબીબી સારવાર હેતુથી તેમના જામીન મંજુર કર્યા.
જો કે ઇમરાન સરકાર તેમને વિદેશ સારવાર લેવા જવાની મંજુરી આપવા સાથે સહમત ન હતી. અંતે સાત અબજ રુપિયાના ઇન્ડેમ્નીટી બોન્ડ જમા કરાવવાની શરતે પાકિસ્તાન સરકાર શરીફને વિદેશ જવાની મંજુરી આપવા સહમત થઇ.
શરીફના પક્ષ – પી.એમ.એલ. – અને આ ઓફરનો અસ્વીકાર કર્યો અને અંતે લાહોરની વડી અદાલતે દરમિયાનગીરી કરીને શરીફને સારવાર માટે વિદેશ જવા દેવાનો નિર્દેશ પાકિસ્તાન સરકારને આપ્યો.
અંતે 20 મી નવેમ્બરે નવાઝ શરીફને કતાર એર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લંડન લઇ જવાયા. ભ્રષ્ટાચારી વ્યક્તિને વિદેશ જવા દેવાશે નહી તેવા કડક વલણમાં ફેરફાર કરવા પણ પાકિસ્તાની સેનાએ દબાણ વધાર્યું તેવી વાતો ચર્ચાવા લાગી છે.
કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે પાકિસ્તાનના ઇમરાન ખાને બિન જરુરી રીતે નૈતિક વિચારને મહત્વ આપ્યું હતું. ઇમરાન ખાનનું માનવું હતું કે તેના નયા પાકિસ્તાનના વિચાર વિશ્વમાં અલગ – અલગ લોકો માટે અલગ કાયદાઓ હોઇ શકે નહી. ઇમરાન ખાને નિર્ણય બદલ્યો તેથી તેની ટીકા શરુ થતા, પ્રધાનમંત્રીએ પાકિસ્તાની ન્યાયતંત્રને દોષિત ઠરાવવાનો પ્રયાસ કર્યો.
જવાબમાં મુખ્ય ન્યાયાધીશે તેને ઠપકો આપીને સરકારના નિર્ણય માટે ન્યાયતંત્રને દોષ નહી આપવા કહ્યું.
ન્યાયતંત્રે ઇમરાન સરકારને આપેલા ઠપકાના લીધે સરકારની નીતિની વધુ ટીકા થાય તેવી શક્યતા છે. રાજકારણના આ ખેલની પાર્શ્વભૂમિમાં પાકિસ્તાની સેનાનો પ્રભાવ ધીરે ધીરે વધુ મજબૂત બનવા લાગ્યો છે.
ડુંગળી, ટામેટા, જેવી ખાદ્યચીજોના ભાવ ભડકે બળવા લાગ્યા છે. અને ફુગાવાનો દર વધ્યો છે, તેના લીધે લોકોમાં રોષની લાગણી વધવા લાગી છે. આ સમગ્ર રાજકીય તથા આર્થિક બાબતો ઇમરાનખાન સરકાર તથા લોકશાહી વ્યવસ્થા માટે નુકસાનકારક જ પુરવાર થાય તેવું જણાય છે.
શ્રીરંગ - અશોક
લેખક – ડોક્ટર અશોક બેહુરીયા, દક્ષિણ એશિયા, કેન્દ્રના વરિષ્ઠ ફેલો.
Comments
Post a Comment