ભારતના વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે ભારત અને ઇરાનના સંયુક્ત પંચની 19મી બેઠકમાં ભાગ લેવા તાજેતરમાં ઇરાનની મુલાકાત લીધી હતી. ભારત અને ઇરાનના વિદેશમંત્રીઓના અધ્યક્ષપદે સંયુકત પંચની બેઠક યોજવામાં આવી હતી. બંને મિત્રો દેશો દ્વારા દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે તૈયાર કરેલી આ એક વ્યવસ્થા છે. ઇરાનની મુલાકાત વખતે શ્રી જયશંકરે ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૌહાનીની મુલાકાત લઈને સંયુક્ત પંચની બેઠકમાં થયેલી વાતચીત અંગે જાણકારી આપી હતી. શ્રી જયશંકરે ઇરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સલામતી પરિષદના વડા રીયર એડમિરલ અલી શામખાની અને શહેરી વિકાસમંત્રી મહમ્મદ ઇસ્લામી સાથે પણ મંત્રણાઓ કરી હતી.
ઇરાન અને અમેરિકા વચ્ચે રાજકીય અને આર્થિક ક્ષેત્રે મડાગાંઠ સર્જાઈ છે અને અમેરિકાએ ઇરાન સામે રાજકીય અને આર્થિક પ્રતિબંધો લાદયા છે ત્યારે ભારત ઇરાન સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના હેતુથી આ મુલાકાત યોજી હતી. ખૂબ જ ફળદાયી રહેલી આ સંયુક્ત પંચની બેઠકમાં ભારત અને ઇરાને દ્વિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. એટલું જ નહીં ભારત અને ઇરાન ચાબહાર બંદર યોજના વધુ ઝડપી બનાવવા સહમત થયા હતા.
ઇરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે ભારત ઇરાન દ્વિપક્ષીય સંબંધો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને બંને દેશો વચ્ચેના પ્રાચીન ઐતિહાસિક અને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં બંને પક્ષોએ સંપર્ક, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રના સહકારને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત બંને પક્ષોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બાબતો અંગે ચર્ચા વિચારણા કરી હતી. ચાબહાર બંદર ભારત માટે ઇરાન, અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરોપ સાથેના વેપારનું પ્રવેશ દ્વાર બની રહેવાનું છે. પાકિસ્તાન અને ચીન દ્વારા પાકિસ્તાનમાં તૈયાર કરવામાં આવી રહેલા ગ્વાદર બંદરના જવાબ રૂપે ભારત અને ઇરાને ચાબહાર બંદર વિકસાવવાનો નિર્ણય લીધો છે.
ભારત અને ઇરાનના વિદેશમંત્રીઓ ચાબહાર બંદરની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરવાનો અને વેપારના કેન્દ્ર તરીકે વિકસાવવા અંગે સઘન ચર્ચા કરી હતી.
ભારત અને ઇરાનની સંયુક્ત પંચની બેઠકમાં દ્વિપક્ષીય વેપાર વધુ મજબુત બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ હેતુથી ભારત ઇરાનની વેપાર ક્ષેત્રની સંયુક્ત કાર્યકારી જુથની બેઠક શક્ય એટલી વહેલી તકે યોજવાનો, દ્વિપક્ષીય રોકાણ સંધિ કરવાનો અને કસ્ટમની બાબતોમાં ભારત અને ઇરાન વચ્ચેનો સહકાર સુદૃઢ બનાવવાના નિર્ણયો લેવાયા હતા.
બંને દેશોએ આંતકવાદના કારણે સમગ્ર માનવજાતિ સામે ઊભા થયેલા પડકાર અંગે ચર્ચા કરી હતી. ભારત અને ઇરાને આતંકવાદ અને આતંકીઓને આશ્રય આપનારાઓ સામે તત્કાલ અને સાથે મળીને ઝડપી કાર્યવાહી કરવા વિશ્વ સમુદાયને અપીલ કરી હતી. ભારત અને ઇરાન પ્રાદેશિક સ્તરે શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા સંમત થયા હતા.
ભારત અને ઇરાનના સંયુક્ત પંચની બેઠકમાં સૌથી મહત્વની કહી શકાય તેવી દ્વિપક્ષીય સમજુતી સધાઈ હતી. જેમાં બંને દેશોના મૈત્રીપૂર્ણ અને દ્વિપક્ષીય સંબંધોને વર્ષ 2020 માં 70 વર્ષ પૂરા થતાં હોવાથી બંને દેશોએ આ બનાવની ઉજવણી કરવાનો તેમજ સાંસ્કૃતિક ઉત્સવો યોજવાની અને અને બંને દેશોના સાંસદો દ્વારા એકબીજાના દેશની મુલાકાત લેવાની બાબતોને વણી લેતી સમજુતી કરવામાં આવી હતી.
અમેરિકાના પ્રતિબંધોના કારણે ઇરાનથી આયાત થતાં ખનીજ તેલ ઉપર ગંભીર અસર થઈ હોવાથી ભારતે સંયુક્ત પંચની બેઠકમાં બંને દેશોના સંબંધો વધુ મજબુત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઇરાનના રાષ્ટ્ર પ્રમુખ હસન રૌહાનીએ ગયા વર્ષે ભારતની મુલાકાત લીધી હતી. એવી જ રીતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની ગત સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં યોજાયેલી સામાન્ય સભાની બેઠક વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇરાનના વડા રૌહાનીએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી. તાજેતરમાં યોજાયેલી સંયુક્ત પંચની બેઠક ભારત અને ઇરાનના દ્વિપક્ષીય સંબંધો હજુ મજબુત બનાવશે એ વાત નક્કી છે.
Comments
Post a Comment