અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ ઈઝારયેલ હસ્તકના વિસ્તારોમાં ઉભી કરાયેલી ઈઝરાયેલની વસાહતોને કાયદેસર ગણવાની કરેલી જાહેરાત આંતરરાષ્ટ્રીય સમુદાયના સર્વ-સંમતીથી ઉભા થયેલા મતથી સંપૂર્ણરીતે વિપરીત હતી.
એટલું જ નહીં વર્ષ 1967માં શરૂ થયેલા આ ક્ષેત્રના યુદ્ધ બાદ અમેરિકાએ અત્યાર સુધી જાળવી રાખેલી તેની નીતિને પણ ફગાવી દેનારી હતી.
શ્રી પોમ્પીઓએ જણાવ્યું હતું કે, વેસ્ટ બેંક વિસ્તારમાં ઈઝરાયેલે ઉભી કરેલી વસાહતો આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુરૂપ છે છતાં આ મુદ્દે ઈઝરાયેલ તથા પેલેસ્ટીની લોકોએ ચર્ચા વિચારણા કરવી જોઈએ.
આ વસાહતોમાં જૂન 1967ના યુદ્ધ બાદ ઈઝરાયેલે કબજે કરેલા સીનાઈ પેનીનસુલા, ગોલાન હાઈટ્સ, ગાઝા પટ્ટી અને પશ્ચિમી કાંઠા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ઈઝરાયેલે યુદ્ધ પુરૂ થતાં જ રહેણાંક એકમો બાંધવાની શરૂઆત કરી હતી.
યુદ્ધ પહેલા યેરૂસલેમ શહેરના પૂર્વ વિસ્તારમાં જોર્ડનનો કબજો હતો, તે ક્ષેત્ર ઈઝરાયેલે પોતાના કબજામાં લીધું.
ત્યારબાદ તેણે ગોલાન હાઈટ્સ વિસ્તારોમાં આવાસો બાંધવાની શરૂઆત કરી. આ કામગીરી ઈઝરાયેલે પોતાના હસ્તક લીધેલા બીજા વિસ્તારોમાં પણ કરી હતી. હાલ વેસ્ટ બેંક વિસ્તારમાં 130 કાયદેસર તથા 100 જેટલા ગેરકાયદેસર એકમોમાં ચાર લાખ જેટલા ઈઝરાયેલી નાગરીકો વસવાટ કરી રહ્યા છે.
આ ઉપરાંત પૂર્વ યેરૂસલેમ વિસ્તારમાં 12 જેટલી વસાહતોમાં બે લાખથી વધુ ઈઝરાયેલી નાગરિકો વસવાટ કરી રહ્યા છે. એવી જ રીતે ગોલાન હાઈટ વિસ્તારમાં બાવીસ હજાર ઈઝરાયેલી નાગરીકો રહેવા લાગ્યા છે.
આરબ દેશો સાથેની શાંતિ મંત્રણામાં ઈઝરાયેલની આ વસાહતોએ અગત્યની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ઈજીપ્ત સાથે સધાયેલી કેમ્પ ડેવીડ સંધી તથા 1982માં યામીત ખાતેની વસાહતો દૂર કરવામાં સંબંધીત ઈઝરાયેલી વસાહતોની ભૂમિકા અગત્યની રહી હતી.
વર્ષ 2005માં ઈઝરાયેલે એકપક્ષીય નિર્ણય લઈને ગાઝા પટ્ટી વિસ્તારમાંથી આશરે 8 હજાર ઈઝરાયેલી નાગરિકોને પાછા બોલાવી લીધા હતા. 1990ના દસકાના છેલ્લા વર્ષોમાં સિરીયાની નજીક આવેલી માઉન્ટ હર્મન ખાતેની વસાહતોના મુદ્દે ઈઝરાયેલે અપનાવેલા વલણના લીધે સિરીયા અને ઈઝરાયેલ વચ્ચેની મંત્રણા ભાંગી પડી હતી.
ઈઝરાયેલના બધા જ રાજકીય પક્ષોએ તેના હસ્તકના વિસ્તારોમાં ઈઝરાયેલી વસાહતોના વિસ્તરણની તરફેણ કરી હતી.
આ વસાહતોમાં રહેતા ઇઝરાયેલના નાગરિકોની વસતી ઈઝરાયેલની જમણેરી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોની પ્રખર સમર્થક હતી.
ઈઝરાયેલ તથા પેલેસ્ટીની લોકો વચ્ચેની શાંતિ મંત્રણામાં ઈઝરાયેલની વસાહતો મુખ્ય અવરોધ બની છે. ઈઝરાયેલે કબજે કરેલા વિસ્તારોમાં શાળા, હોસ્પીટલો, મોલ તથા સલામતી દળો માટેના એકમો જેવી વ્યવસ્થા ઉભી કરી. શરૂઆતમાં આ માળખાકીય સુવિધાઓ પેલેસ્ટીની વસાહતોથી ઘણી દૂર હતી પણ તબક્કાવાર આવી સુવિધાઓ પેલેસ્ટીની લોકોની વસાહતોની નજીક ઉભી થવા લાગી. પેલેસ્ટાઈનની અપેક્ષા હતી કે, ઓસ્લો પ્રક્રિયા બાદ ઈઝરાયેલની આવી પ્રવૃત્તિ ઘટશે પણ આ અપેક્ષા અધુરી જ રહી. ઈઝરાયેલે વસાહતોનું વિસ્તૃતિકરણ ચાલુ રાખવાની સાથે સાથે પેલેસ્ટીની લોકોની જમીન તથા શહરો પર પણ કબજો મેળવવાની શરૂઆત કરી.
ઘણા વર્ષોય સુધી આંતરરાષ્ટ્રીય સમુદાયે એવો મત વ્યક્ત કર્યો હતો કે, આ પ્રકારની વસાહતોના લીધે જીનીવા સંધિનો ભંગ થાય છે.
વર્ષ 2004માં આંતરરાષ્ટ્રીય અદાલતે પણ આ વસાહતોને ગેરકાયદેસર ગણાવી હતી. અમેરિકાના ટ્રમ્પ વિહવટીતંત્રે યેરૂસલેમને ઈઝરાયેલના પાટનગર તથા ગોલાન હાઈટ વિસ્તારને ઈઝરાયેલનો સાર્વભૌમ વિસ્તાર ગણાવવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો ત્યારપછી અમેરિકાની આ ક્ષેત્રની નીતિમાં પરિવર્તન આવ્યું.
આ વિવાદોની સીધી અસરરૂપે એપ્રિલ તથા સપ્ટેમ્બરમાં બે વખત ચુંટણી યોજવા છતાં ઈઝરાયેલમાં સરકારની રચના થઈ શકી નથી. ટ્રમ્પે તેનું બદલાયેલું વલણ જાહેર કર્યા પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ પેલેસ્ટીની લોકોના અધિકારોની તરફેણ કરતો ઠરાવ પસાર કર્યો. ભારત સહિત 165 દેશોએ આ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. જ્યારે ઈઝરાયેલને અમેરિકા, નૌરૂ, માઈક્રોનેશીયા તથા માર્શલ આઈલેન્ડે જ ટેકો આપ્યો હતો. પેલેસ્ટાઈન એક મજબુત રાષ્ટ્ર તરીકે ઈઝરાયેલના પાડોશી દેશ તરીકે સહઅસ્તીત્વ ધરાવે તેની ભારતે હંમેશા તરફેણ કરી છે.
લેખક – પ્રોફેસર પી.પી.કુમારસ્વામી,
જેએનયુના પશ્ચિમ એશિયા કેન્દ્ર
Comments
Post a Comment