ઈરાકના યુવાનો છેલ્લા બે મહિનાથી દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવી ઉભી થયેલી સમસ્યાઓ તથા ઈરાન અને અમેરિકા દ્વારા ઈરાકની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી કરવાના બનાવોનો વિરોધ કરી રહ્યા છે.
આરંભમાં માત્ર વિરોધના સ્વરૂપવાળાં દેખાવોએ હવે સરકાર સામે નાગરિક અસહકાર ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું છે.
ઈરાકના નજફ, કરબલા, બસરા તથા બગદાદમાં સરકાર સામે મોટી સંખ્યામાં નાગરિકો ધરણામાં જોડાઈ રહ્યા છે.
દરમ્યાન સરકાર વિરોધી દેખાવ કરનાર લોકો સામે સલામતીદળોએ કરેલી કાર્યવાહીમાં 400 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.
ગયા શુક્રવારે શીયા ધર્મગુરૂ આયાતોલ્લાહ અલી અલ સીસ્તાનીએ સરકારને ટેકો આપવાના નિર્ણયની સમીક્ષા કરવાની અપીલ કરતા ઈરાકના પ્રધાનમંત્રી અબદેલ અબદુલ મહાદીએ પદ પરથી રાજીનામું આપ્યું છે.
ઈરાકની સંસદે પ્રધાનમંત્રીના રાજીનામાનો સ્વીકાર કરીને નવા પ્રધાનમંત્રીની નિમણૂક કરવા રાષ્ટ્રપ્રમુખને નિર્દેશ આપ્યો હતો.
જોકે દેખાવો ચાલુ જ રહ્યા હતા અને ચળવળનું કેન્દ્ર બગદાદનો તાહરીર ચોક બન્યો.
આર્થિક મુશ્કેલી તથા ભ્રષ્ટાચારના દૂષણોએ ઈરાકના યુવાનોમાં વિરોધનો જુવાળ ઉભો કર્યો છે.
અમેરિકાએ વર્ષ 2003માં આક્રમણ કર્યા બાદ ઈરાક ગૃહયુદ્ધમાં સપડાયું છે. સમયાંતરે ચૂંટણીઓ યોજાતી હોવા છતાં ઈરાકમાં રાજકીય સ્થીરતા એક મૃગજળ સમાન બની રહી છે.
આશ્ચર્યની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ઈરાક ખનીજ તેલનો મોટો નિકાસકાર હોવા છતાં ઈરાકમાં આર્થિક મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.
ઈરાકના નાગરિકો આ સ્થિતિ માટે ભંડોળનો ગેરવહિવટ તથા ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવે છે.
વર્ષ 2013-14માં ISIS ત્રાસવાદી સંગઠનના ઉદય સાથે ઈરાક બધી જ રીતે ભાંગી પડવાના આરે આવીને ઉભુ રહ્યું.
IS જુથે ઈરાકના ઘણાં વિસ્તારો ઉપર કબજો મેળવ્યો.
ડિસેમ્બર 2017માં IS જૂથના વર્ચસ્વમાંથી મોસૂલ શહેર મુક્ત થયું છતાં ઈરાકના નાગરીકોની સમસ્યાનો અંત આવ્યો નહીં.
મે 2018માં ઈરાકમાં યોજાયેલી સંસદીય ચૂંટણી પછી ઈરાકમાં નવા યુગનો આરંભ થવાની આશા હતી.
જોકે આ ચૂંટણીમાં લોકમત સ્પષ્ટરીતે અભિવ્યક્ત નહી થતા સરકારની રચનામાં વિલંબ થયો.
નવી રચાયેલી સંસદમાં નવી સરકારની રચનામાં પાંચ મહિનાનો વિલંબ ઉભો થયો.
ઓક્ટોબર 2018માં સત્તાના સૂત્રો ગ્રહણ કરનાર અબ્દેલ અબ્દુલ મહાદી લોકોનો વિશ્વાસ જીતવામાં નીષ્ફળ રહ્યા.
ઈરાન દ્વારા ઈરાકની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ થતો હોવાથી ઈરાકના યુવાનોમાં અસંતોષ ઉભો થયો.
IRGC દ્વારા તાલીમ અપાયેલા શીયા લડવૈયાઓએ PMFની રચા કરી જેણે IS ત્રાસવાદી જૂથને હરાવ્યું.
એવો પણ આક્ષેપ થાય છે કે, ઈરાનની દરમીયાનગીરી કરવાના લીધે જ ઈરાકમાં સરકારની રચનાને વિલંબ થયો.
અમેરિકા પણ ઈરાકમાં તેનો પ્રભાવ વધારવા પ્રયાસ કરી રહ્યું હતું. અમેરિકાએ સાઉદી અરેબિયાની મદદથી ઈરાકના સમાજ જીવન તથા રાજકારણમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસો હાથ ધર્યા.
ઈરાકના યુવાનોને ઈરાન તથા અમરિકાનો પ્રભાવ વધારવાના પ્રયાસો નહીં ગમતા યુવાનોમાં આ બંને સામે વિરોધનો વંટોળ ઉભો થયો.
ઈરાક ખનીજ તેલનો વિશ્વમાં ઘણા મોટા તેલક્ષેત્રો પૈકી ખનીજતેલનો મોટો જથ્થો ધરાવતું મોટું ક્ષેત્ર છે.
ભારત પણ ઈરાક પાસેથી ખનીજ તેલના નોંધપાત્ર જથ્થાની આયાત કરે છે.
ભારતે વર્ષ 2018-19માં ઈરાકમાંથી 23.3 અબજ અમેરિકી ડોલરની કિંમતના ખનીજ તેલની આયાત કરી હતી.
ભારત ઈરાકમાં ઉભી થયેલી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. દેખાવકારો સાથે શાંતિથી કામ નહીં કરી શકવાથી ઈરાકમાં પરિસ્થિતિ વધુ જટીલ બની છે.
આમ ત્રિભેટે આવી પહોંચેલા ઈરાકે ભવિષ્યમાં પ્રગતીનો રસ્તો પસંદ કરવાનો છે.
ઈરાકની અશાંત પરિસ્થિતિનો સમગ્ર મધ્ય-પૂર્વ અખાતી વિસ્તાર ઉપર ગંભીર પરિણામ થઈ રહ્યો છે.
ભારત આશા રાખે છે કે, ઈરાકની સરકાર તેના નાગરિકોની ફરિયાદો ઉકેલવા તથા દેશમાં શાંતિ અને સ્થીરતાની સ્થાપના કરવામાં ચોક્કસ પગલાં લેશે.
શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર
લેખક – ડોક્ટર મહંમદ મુદસ્સર કમાર, પશ્ચિમ એશિયાના વિશ્લેષક
Comments
Post a Comment