પાકિસ્તાની સેનાના વડા જનરલ કમાર બાજવા ગત નવેમ્બર 2019માં સેવા નિવૃત્ત થવાના હતા. જો કે, પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગત ઓગસ્ટ 2019માં એક જાહેરનામું બહાર પાડીને જનરલ કમાર બાજવાનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ સુધી લંબાવ્યો હતો.
પાકિસ્તાન સરકારે બાલાકોટમાં ભારતીય હવાઈ દળની કાર્યવાહી તથા પુલવામાની ઘટના બાદ પાકિસ્તાનની સલામતી સામે અસાધરણ જોખમ ઉભું થયાનો દાવો કરીને કમાર બાજવાના કાર્યકાળને વધારવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ઈમરાન સરકારના આ નિર્ણયને સસ્પેન્ડ કરતો ચૂકાદો, 26મી નવેમ્બરે આપીને ઈમરાન સરકારને મોટો ઝટકો આપ્યો. સર્વોચ્ચ અદાલતે પાક સરકારના આ નિર્ણયની તાર્કિકતા સામે પ્રશ્નચિહન ઉભુ કર્યું. સાથે સાથે જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયામાં થયેલી ગેરરિતી તથા ત્રુટિઓ સામે પણ ધ્યાન દોર્યું.
સર્વોચ્ચ અદાલતે એવું અવલોકન કર્યું હતું કે, કલમ – 243 ત્રણ હેઠળની સેના ધારાની જોગવાઈમાં મુદ્દત તથા કાર્યકાળમાં વધારા અંગેના ધારા – ધોરણો સ્પષ્ટ નથી. અદાલતે વરિષ્ઠ કર્મચારીઓનો કાર્યકાળ વધારવા અંગેના ધારા ધોરણો ઘડવા ઈમરાન ખાનના વડપણ હેઠળની પી.ટી.આઈ સરકારને આદેશ આપ્યો છે.
અદાલતે જણાવ્યું છે કે, જો સરકાર આ ધારાધોરણો ઘડશે નહીં તો બાજવા આગામી છ મહિના પછી નિવૃત્ત ગણાશે. સર્વોચ્ચ અદાલતના આ આદેશ બાદ પાકિસ્તાન સરકાર ભીંસમાં મૂકાઈ હતી. કારણ કે, પાકિસ્તાન સરકારને ખબર છે કે, સંસદમાં નવા ધારા ધોરણો ઘડવા, તેમને વિપક્ષના સમર્થનની જરૂર છે.
સરકારને કાર્યકાળ વધારવા માટે બંધારણમાં સુધારા કરવા પડશે જે બાબત વિપક્ષના સમર્થન વગર શક્ય નથી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં અગાઉના વર્ષોમાં સેનાના વડાઓનો કાર્યકાળ કોઈપણ ધારાની જોગવાઈ વગર વધારવામાં આવ્યો હતો. સેનાની સલાહ મુજબ ઈમરાન ખાન સરકારે વિપક્ષ પ્રત્યે કુણું વલણ ધારણ કર્યું છે અને વિપક્ષ સાથે ચર્ચા હાથ ધરવાના પ્રયાસો શરૂ કર્યા છે. આના ભાગરૂપે જ થતી કાર્યવાહીમાં કેફી પદાર્થો અંગેના કેસમાં સંડોવણી હોવાનો આરોપ ધરાવતા પી.એમ.એલ – એન પક્ષના રાણા સનાઉલ્લાહના જામીન મંજૂર થયા છે તથા ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ અસીફ અલી ઝરદારીના જામીન તબીબી કારણસર મંજૂર કરાયા છે.
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ લંડનથી ક્યારે પાછા ફરશે તે અંગે સરકાર સ્પષ્ટતા કરતી નથી. આ બધા જ પગલાંના લીધે માત્ર લશ્કરના નહીં પણ સેનાના બધા જ વડાઓનો કાર્યકાળ વધારવા કે નિયંત્રીત કરવા અંગેનો ધારા ઘડવાનો મુસદ્દો મંજૂર કરાવવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે.
સેનાને લગતા ત્રણ ધારાઓમાં સુધારાની જોગવાઈ ધરાવતું વિધેયક પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં મંજૂર કરાયું છે. જો કે, સર્વિસ ચીફના વિધેયકનો મુસદ્દો ઘડતી વખતે વિવાદ ઉભો થયો છે. નિવૃત્ત લશ્કરી વડાઓને વધુ સમય આપવો તથા તેમનો કાર્યકાળ વધારવાને લગતુ વિધેયક રાષ્ટ્ર પ્રમુખને નિર્ણયમાં વધુ સ્વતંત્રતા આપે છે, તેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે.
બીજુ એક તરફ પાકિસ્તાન સરકારે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે બાજવાના કાર્યકાળને લગતા કેસમાં આપેલા ચૂકાદાની ફેર વિચારણા કરવાની અરજી અદાલતમાં દાખલ કરી છે, ત્યારે પાકિસ્તાન સરકાર સંસદમાં આ બાબતને લગતું વિધેયક શા માટે લાવી છે – તેવા પ્રશ્નો પણ ઉભા થયા છે.
આ બાબત દર્શાવે છે કે, પાકિસ્તાનનો કાયદા વિભાગ આ મુદ્દે મૂંઝવણમાં છે. જો સર્વોચ્ચ અદાલત આ અરજી સ્વીકારે અથવા કાઢી નાખે, તો શું કરવું જોઈએ તેવી વિચારણા શરૂ થઈ છે. સર્વિસ ચીફના કાર્યકાળને લગતું વિધેયક ઘણી રીતે તર્કસંગત નથી. ઉપરાંત તેમાં સેનાના વડાનો કાર્યકાળ 64 વર્ષ પછી પણ વધારવાની જોગવાઈ છે, તથા આ નિર્ણયને પડકારી શકાશે નહીં. ઉપરાંત પ્રધાનમંત્રી ઈચ્છે તો કોઈપણ સેના પ્રમુખનો કાર્યકાળ ટૂંકાવી શકશે. – શું આ બધુ શક્ય બનશે ખરું. વાસ્તવમાં એ બાબત ભૂલવી જોઈએ નહીં કે, ભૂતકાળમાં પ્રધાનમંત્રી નવાઝ શરીફ સરકારે આવો પ્રયાસ કર્યો હતો, ત્યારે પાકિસ્તાની સેનાએ, શાસન પોતાના હસ્તક લીધું હતું. સામે પક્ષે વિપક્ષ પણ સરકાર પાસેથી વધુ લાભોની માગણી કરશે. આના લીધે ભ્રષ્ટાચાર મુક્ત નયા પાકિસ્તાનનું શમણું સાકાર થવામાં વિઘ્નો આવશે.
લેખક– ડૉક્ટર ઝૈનાબ અખ્તર, પાક. બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક
શ્રીરંગ, (મયુર)
Comments
Post a Comment