રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધી તે સાથે જ સંસદના બજેટસત્રનો આરંભ થયો છે.
ત્યારપછી નાણામંત્રી નિર્મલા સીતારામને ગૃહમાં આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ કોઇ એક નાણાકીય વર્ષમાં દેશની આર્થિક ક્ષેત્રની સિદ્ધિઓ અને ત્રૂટિઓ દર્શાવતો સંખ્યાત્મક અને વિશ્લેષણાત્મક દસ્તાવેજ હોય છે.
ભારતીય અર્થતંત્રની ગતિ આ વર્ષે સહેજ ધીમી પડી હોવાથી આ વખતનો આર્થિક સર્વે આગવું મહત્વ ધરાવે છે.
આ સર્વેક્ષણમાં વર્ષ 2019-2020માં GDPનો વિકાસ દર 5 ટકા અંદાજવામાં આવ્યો છે. જે પૂર્વધારણા મુજબ જ છે. આમ છતાં, આ વખતના આર્થિક સર્વેક્ષણમાં કેટલાક મહત્વના મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે.
સર્વેક્ષણ માને છે કે, ભારતનું અર્થતંત્ર નવી ગતિ મેળવશે અને વર્ષ 2020 – 2021માં તે 6 થી સાડા છ ટકાનો વિકાસ દર મેળવશે.
ભારતીય અર્થતંત્રની કામગીરી ફિસ્કલ કોન્સોલીડેશન અર્થાત્ આર્થિક મજબૂતીકરણ ક્ષેત્રે સારી કામગીરી કરી હતી.
સર્વેક્ષણ જણાવે છે કે, ફુગાવાનો દર પણ યોગ્ય રીતે નિયંત્રણ હેઠળ રાખી શકાયો છે જેમ કે છૂટક ફુગાવો માત્ર 4.1 ટકા જયારે જથ્થાબંધ ફુગાવો WPI માત્ર 1.9 ટકાની નીચે રાખી શકાયો.
સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, સીધા વિદેશી મૂડીરોકાણ FDI વધતા તથા આયાત ઘટતા દેશની પરત ચૂકવણીની પ્રમાણમાં સંતુલીત રહી હતી. વિદેશમાં રહેતા ભારતીય લોકોએ પણ આ વખતે 1 કરોડ 75 લાખ રૂપિયા સ્વદેશ મોકલ્યા હતા.
સર્વેક્ષણ જણાવે છે કે, આ વર્ષે 10મી જાન્યુઆરી 2020ના રોજ દેશનું અનામત વિદેશી હુંડિયામણ વધીને વિક્રમજનક 461.2 અબજ અમેરીકી ડોલર થયું હતું.
આ ઉપરાંત ચાલુ ખાતાની ખાધ 2 ટકા હતી તે ઘટીને 1.5 ટકા થવાથી પણ દેશની પરત ચૂકવણીની સ્થિતિમાં સુધારો થયો.
સર્વેક્ષણમાં રોજગારીની સ્થિતિ અંગે મહત્વનો મુદ્દો નોંધવામાં આવ્યો છે. સર્વેક્ષણ જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં કુલ રોજગારીમાં ફોર્મલ અર્થાત ઔપચારિક રોજગારીનું પ્રમાણ 17.6 ટકા હતું તે વધીને 22.5 ટકા થયું.
બીજું ભારતીય શેરબજાર પણ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના નવા સાહસિકોને માટે નવા મંચના સ્વરૂપે ઉભર્યું છે. દર પાંચ વર્ષે ભારતીય શેરબજાર તેમાં નોંધાયેલી એક – તૃતિયાંશ કંપનીઓના સ્થાને નવી કંપનીઓને સ્થાન આપે છે. ટેકનોલોજી અને ઉત્પાદનોની દ્રષ્ટિએ થતા આવા ફેરફારોને આર્થિક સર્વેક્ષણ ક્રિએટિવ્હ ડિસ્ટ્રકશન – રચનાત્મક નાશ તરીકે ઓળખાવે છે.
આર્થિક ઉદારીકરણ અપનાવ્યા પછીના સમયગાળામાં આ પ્રક્રિયા પણ થતી રહી છે. સર્વેમાં નોંધ્યું છે કે, ઉદ્યોગ સાહસિકોના ક્ષેત્રે નવો વિકાસ થઇ રહ્યો છે. વિશ્વબેન્કની નોંધ મુજબ નવી સંસ્થાઓની રચનાના ક્ષેત્રે ભારત વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે.
વર્ષ 2014મમાં ભારતમાં 70 હજાર નવા એકમો સ્થપાયા, તે વધીને 2018માં એક લાખ 24 હજાર નવા એકમો સ્થપાયા હતા.
આ દર્શાવે છે કે, 2014 થી 2018 સુધીના સમયગાળામાં નવા એકમોની રચનાનો વિકાસદર 3.8 ટકા દર્શાવે છે.
ભારતની નિકાસ ક્ષેત્રની પૂરી ક્ષમતાનો ઉપયોગ હજી થતો નથી. આથી જ આ વખતના આર્થિક સર્વેક્ષણમાં નિકાસ ક્ષેત્ર ઉપર ભાર મૂકીને એસેમ્બલ ઇન ઇન્ડિયા ફોર ધી વર્લ્ડ સૂત્ર ઉપર ભાર મૂકાયો છે.
સરકારે વિશ્વ બજારમાં ભારતની નિકાસનો હિસ્સો વર્ષ 2025 સુધીમાં સાડા ત્રણ ટકા અને વર્ષ 2030 સુધીમાં વધારીને 6 ટકા કરવાની નેમ રાખી છે.
ભારતને મોટો નિકાસકાર દેશ બનાવવા ગુણવત્તાના વિસ્તૃતીકરણ તથા નેટવર્કના પ્રોડકટના સ્પેશલાઇઝેશન ઉપર ભાર મૂક્યો છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર, ભારતીય અર્થતંત્રને આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા પ્રતિબદ્ધ છે.
ભારતમાં વેપાર કરવાના ક્ષેત્રે સરળતાની દ્રષ્ટિએ અગત્યના દેશોની સૂચિમાં ઉપરનો ક્રમ મળ્યો છે.
અગાઉ આ દેશોની સૂચિમાં ભારતનો ક્રમ 142 હતો તેમાં સુધારો થઇ ભારત હવે 63માં સ્થાને પહોંચ્યું છે.
આ સમગ્ર બાબત ધ્યાનમાં લેતા આર્થિક સર્વેક્ષણ 2020ની મુખ્ય થીમ – વેપારને અનુકૂળ નીતિ, વિશ્વાસના પાયો મજબૂત કરવો જેવી બાબતો ઉપર ભાર મૂકાયો છે.
લેખક- મનોહર મનોજ - પત્રકાર
Comments
Post a Comment