વિશ્વ આરોગ્ય સંસ્થા – ડબલ્યુએચઓ ધ્વારા વૈશ્વિક રોગચાળો જાહેર કરેલા કોવિડ-૧૯ નો સાથે મળીને સામનો કરવાના પ્રયાસો વિચારવા પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ સાર્કના સભ્ય દેશોના નેતાઓ વિડીયો કોન્ફરન્સ યોજી તે એક અજોડ પગલુ છે. તેના કારણે દક્ષિણ એશિયાઇ પ્રદેશમાં તત્કાળ સૌનું ધ્યાન ખેચ્યું છે. આ પ્રદેશના બધા દેશોમાં વસ્તી ખુબ ગીચ હોવાથી વાયરસના ફેલાવાનો ખતરો પણ સાચો છે. તેથી જ તેનો ફેલાવો રોકવાનું પણ એટલુ જ મહત્વનું છે. અહીયા નોંધવુ જરૂરી છે કે ચીનમાંથી ઉદભવેલા આ વાયરસે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં સાત હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. નોવેલ કોરોના વાયરસે અનેક દેશો પર માઠી અસર કરી છે. વિમાની ખેપો રદ કરાઇ છે, જાહેર સ્થળો બંધ કરી દેવા પડયા છે અને લોકોને પણ ઘરમાં જ પુરાઇ રહેવા અનુરોધ કરાયો છે. આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા ચીન, ઇટલી અને ઇરાન જેવા દેશોમાંથી પોતાના ઉપરાંત બાંગ્લાદેશ અને માલદીવ્સના નાગરીકોને પણ બહાર લાવીને પોતાની પાડોશી પ્રથમ નીતીનું અનુસરણ કર્યુ છે. ભારતે તો તેના વિમાન ઘરો ઉપર વિદેશથી આવતાં લોકોનું કડક ચેકીંગ કરીને અને શંકાસ્પદ વાયરસના ચેપગ્રસ્ત દર્દીઓને અલાયદા વોર્ડમાં રાખવાની વ્યવસ્થા અનેક સ્થળે ઉભી કરી છે. વિશ્વના અન્ય ભાગોની સરખામણીએ દક્ષિણ એશીયામાં જો કે કોરોનાના ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં ૧૩૭ જેટલા કેસ નોંધાયા છે, તો પાકિસ્તાનમાં પંચાવન, માલદીવ્સમાં આઠ, અફઘાનીસ્તાનમાં સાત, શ્રીલંકામાં ત્રણ, બાંગ્લાદેશમાં બે, જયારે નેપાળ અને ભુતાનમાં એક-એક કોરોનાનો કેસ જોવા મળ્યો છે. તેથી આ રોગચાળાનો સાથે મળીને સામનો કરવા દરેક દેશ પોતાના અનુભવોની આપ-લે કરે તે મહત્વનું બન્યું છે. આ પ્રદેશના બધા દેશોની કદાચ ઉભી થનારી આરોગ્ય કટોકટીનો સામનો કરવાની આર્થિક ક્ષમતા ન હોય તે બાબતને ધ્યાનમાં રાખીને કોવિડ-૧૯ માટે ભંડોળ ઉભુ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દરખાસ્ત એક આવકાર્ય પગલુ છે. તેમાં ભારતે એક કરોડ અમેરીકન ડોલરનું યોગદાન જાહેર કરીને આ પ્રાદેશિક ભંડોળની શરૂઆત કરી છે. આ ભંડોળમાં ફાળો આપવાનું જો કે સ્વૈચ્છિક છે અને કોવિડ-૧૯ ને કાબુમાં લેવાના ખર્ચને પહોંચી વળવા સભ્ય દેશો તેનો ઉપયોગ કરી શકે છે. ભારતે આ પગલાં ઉપરાંત સાર્ક આફત વ્યવસ્થાપન કેન્દ્રની હાલની વ્યવસ્થાનો ઉપયોગ કરવાની પણ દરખાસ્ત મુકી છે. જેથી સરહદો પર અને જે તે દેશની અંદર પણ આ રોગચાળાને કાબુમાં લેવા સાથે એક સમાન સાર્ક રોગચાળા નીતી નિયમો ઘડી કાઢવાની પણ દરખાસ્ત મુકી છે. વિડીયો કોન્ફરન્સ યોજવાની જાહેરાતને સાર્કના બધા સભ્ય દેશોએ આવકારી હતી. પાકિસ્તાન સિવાય તમામ દેશોની સરકારોના અધ્યક્ષોએ આ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. એક માત્ર પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પોતાના બદલે આરોગ્ય અંગેના પોતાના ખાસ મદદનીશને હાજર રાખ્યા હતા. આ દેશોના વડાઓએ આ રોગચાળાનો સામનો કરવાના તેમના અનુભવોનું આદાન પ્રદાન કર્યુ જ હતું, પરંતુ આરોગ્ય ક્ષેત્રમાં સહકાર વધારવાના ઉપાયોની દરખાસ્ત પણ કરી હતી.
માલદિવ્સના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ સોલીહે આ લાગણીનો પડઘો પાડતાં કહયું હતું કે, કોઇપણ દેશ એકલા હાથે આ રોગચાળાનો સામનો કરી શકે નહી. કોવિડ-૧૯ નું નિદાન કરવા અને રોગગ્રસ્ત દર્દીઓને અલાયદા વોર્ડમાં સારવાર આપવા મહાકાય માળખાકીય સગવડો જરૂરી હોવાનું જોતાં તેમણે સહીયારા આર્થીક પ્રયાસોની જરૂર જણાવી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપકસે એ કોવિડ-૧૯ એ ઉભા કરેલા પડકારને પહોંચી વળવાના અનુભવો અને શ્રેષ્ઠ રીતભાતનું આદાન પ્રદાન કરવાની આવશ્યકતા જણાવી હતી. તો અફઘાનીસ્તાનના રાષ્ટ્રપતિ ડોકટર અશરફ ઘાનીએ ચારેય તરફ જમીની સરહદથી જોડાયેલા તેમના દેશ જેવા વિસ્તાર માટે માત્ર સરહદ શીલ કરવાથી પ્રશ્ન હલ નહી થાય તેમ જણાવીને ટેલીફોનીક કે વિડીયો સારવાર જેવા માળખાની જરૂર જણાવી હતી. પાકિસ્તાને આ રોગચાળાની તકેદારી અને સારવારની માહિતી સમયાંતરે એક બીજાને આપવાનું સુચવ્યું હતું. તો બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આ રોગચળાનો સાથે મળીને સામનો કરવાના પ્રયાસોના સંકલનમાં સાર્કના આરોગ્ય મંત્રીઓની અને આરોગ્ય સચિવોની વિડીયો કોન્ફરન્સ યોજવાનું સુચવ્યું હતું. નેપાળ અને ભુતાને કોવિડ-૧૯ જેવી આરોગ્ય કટોકટીનો સામનો કરવા સહીયારા પ્રયાસોની ભારતની દરખાસ્તને આવકારી હતી. ભારતે આ વિડીયો કોન્ફરન્સ યોજીને આ પ્રદેશમાં આવા રોગચાળાને નાથવા અન્ય દેશોની સાથે મળીને કામ કરવાની તત્પરતા દર્શાવી છે. ભારતે વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓને શોધી કાઢવા અને તેમને તત્કાળ વાયરસ મુકત કરવા અનેક કેન્દ્રો સ્થાપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિડીયો કોન્ફરન્સની દરખાસ્ત અને સાર્કના નેતાઓએ તેને આપેલો પ્રતિશાદ એ દર્શાવે છે કે આવી આરોગ્ય વિષયક કટોકટીને સાથે મળીને સામનો કરવાનું કેટલુ મહત્વુનું છે.
ભરત રાજગોર - મુકેશ
લેખક – ડોકટર સ્મૃતિ એસ. પટનાયક
Comments
Post a Comment