ગત 29મી જૂન – 2020ના રોજ કરાંચી ખાતેના શેરબજાર ઉપર અલગતાવાદી બલોચ લોકોએ કરેલા હુમલામાં ચાર ઉગ્રવાદીઓ સહિત 13 જણાના મોત થયા હતા.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને અગાઉથી જાણે પ્રતિભાવ તૈયાર હોય, તેમ તક ગુમાવ્યા વિના આ હુમલા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. આ બાબત એટલા માટે આશ્ચર્યકારક નથી, કારણ કે પાકિસ્તાન પરની કોઈ પણ મુશ્કેલી માટે ભારતને જવાબદાર ઠેરવવાની પાકિસ્તાનના નેતાઓની જાણે આદત બની ચૂકી છે.
વાસ્તવમાં કરાંચી શેરબજારની ઘટના બની તે પહેલાં જ ઈમરાન ખાનના પક્ષના કેટલાક નેતાઓએ ભારત વિરોધી ભાષણો આપવાની શરૂઆત કરી હતી. શું ઈમરાન ખાન હવે એવું કહેશે કે એજન્સીઓને આ અંગે જાણ હતી ? જો જાણ હતી તો સંભવિત હુમલાને રોકવાનો પ્રયાસ શા માટે ન કરાયો ? ઘણાં વર્ષોથી પાકિસ્તાનના અત્યાર સુધીના નેતાઓ જાહેર જીવનમાં પોતાની ભૂલોથી પાકિસ્તાનના નાગરિકોનું ધ્યાન બીજે વાળવા માટે આજ ઉપાય કરતાં રહ્યા છે.
વાસ્તવમાં ઇમરાન ખાને આ પ્રકારના પાયા વિનાના આક્ષેપો ભારત સામે કરીને પાકિસ્તાન હાલ જે પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે, તે ઉપરથી લોકોની ધ્યાન બીજે વાળવા મદદરૂપ થવા બલોચ ઉગ્રવાદીઓનો જાણે આભાર માન્યો છે. વાસ્તવમાં ઈમરાન ખાને છેલ્લા કેટલાંક સમયથી પોતે ચાર તરફથી ધેરાયેલો માણસ હોય તેવો વ્યવહાર શરૂ કર્યો છે. પસંદ કરાયેલા પ્રધાનમંત્રી તરીકે મહેણાનો સામનો કરી રહેલા ઈમરાન ખાનની સ્થિતિ નબળી પડી હોય તેમ જણાય છે. ઘણા વિશ્લેષકોએ ઇમરાન ખાન પ્રધાનમંત્રી બન્યા ત્યારે રાજકારણ તથા અર્થતંત્રની બાબતો અંગે તેમની શૈલી જુદી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ જ બાબત હવે ઇમરાન ખાનના વિરોધમાં ગઈ છે.
NAB સંસ્થાનો દુરૂપયોગ કરવાનો તથા ભ્રષ્ટાચારીઓ સામે કાયદાનો ઉપયોગ ન કરવાના આક્ષેપો હવે થવા લાગ્યા છે. વાસ્તવમાં તેઓની આસપાસ ભ્રષ્ટ લોકો વધ્યા છે અને આ પૈકી કેટલાંક પાકિસ્તાનના મંત્રીમંડળમાં સભ્ય પણ છે.
તેના સમર્થક ગણાતા પત્રકાર અરશદ ભટ્ટીએ પોતાના ઉર્દુ સમાચારપત્રમાં ઈમરાનને નીષ્ફળ પ્રધાનમંત્રી ગણાવ્યો છે. હસન નિસ્સાર લખે છે કે, છેલ્લાં 22 મહિનાથી પાકિસ્તાનના લોકોનો સમય વેડફવા માટે ઈમરાન ખાનને પાક નાગરિકોને જવાબ આપવો પડશે. ઈમરાન ખાનના પક્ષ તહેરીક – એ- ઈન્સાફ પી.ટી.આઈ.ના જાણીતા નેતા ફવાદ ચૌધરીએ પક્ષની નિષ્ફળતા અને વિવાદોને તાજેતરમાં તેમણે આપેલી મુલાકાતમાં વાચા આપી હતી.
તેમણે કામગીરી કરવામાં પાકિસ્તાન સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. કેટલાંક દિવસો પહેલા સત્તાધારી મોરચાના ઘટક પક્ષ બલોચ નેશનાલીસ્ટ પાર્ટીએ પણ મોરચો છોડવાની ચિમકી આપી હતી.
આ પક્ષના નેતા અખતર મેંગલે, બલોચ લોકોના ઉત્કર્ષ માટે અપાયેલા વચનો નહીં પાળવાનો આક્ષેપ કર્યો હતો. અન્ય બલોચ આગેવાનોની જેમ અખતરે પણ બલોચ લોકોની માગણીઓ સંતોષવા લોકશાહી પદ્ધતિઓનો પ્રયોગ કર્યો જ હશે.
પ્રધાનમંત્રી ઈમરાન ખાને કદાચ સરતચૂકથી હશે, પણ ઓસામ બિન લાદેનને શહિદ ગણાવતા પાકિસ્તાનના ઉદ્દામવાદીઓને નવું બળ મળ્યું છે.
આથી જ પાકિસ્તાનમાં વિપક્ષો ઈમરાનને પ્રધાનમંત્રી પદ પરથી દૂર કરવાની માગણી કરવા લાગ્યા છે. વિપક્ષે પાકિસ્તાન સરકારના બજેટને ગરીબ વિરોધી, લોક વિરોધી ગણાવ્યું તે ટીકાને ઘણાં લોકોએ સમર્થન આપ્યું છે.
વિપક્ષો નેશનલ એસેમ્બ્લીના અધ્યક્ષ સામે વિશ્વાસની દરખાસ્ત લાવવાની માગણી કરી રહ્યા છે. ટૂંકમાં આવનારા દિવસોમાં પાકિસ્તાનના વિપક્ષો પોતાની સ્થિતિ મજબૂત બનાવીને ઈમરાન સામે પડકાર ઉભો કરે તેવી શક્યતા છે.
એવી પણ અફવા છે કે, પાકિસ્તાનમાં સર્વશક્તિમાન ગણાતી સેનાના વડાઓ આ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. કારણ કે, ઇમરાનની નિષ્ફળતામાં તેઓ ક્યારેય જોડાવા ઈચ્છશે નહીં. આ બધી જ પાર્શ્વભૂમિકા વચ્ચે ઇમરાન વગર નેતૃત્વની ફોર્મ્યુલા પાકિસ્તાની પ્રચાર માધ્યમોમાં હેડલાઈન બનવા લાગી છે.
લેખક- ડોક્ટર અશોક બેહુરિયા, દક્ષિણ એશિયા કેન્દ્રના કો-ઓર્ડિનેટર
Comments
Post a Comment