ભારત અને સંયુક્ત આરબ અમીરાત - UAEએ શાંતિ અને સમૃદ્ધિ અંગેના પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના ક્રાઉન પ્રિન્સ મહંમદ બિન જાયદ અલ નહયાનના નેતૃત્વ હેઠળ બંને દેશોએ વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા સઘન પગલાં લીધા છે.
બંને દેશોએ સંયુક્ત પંચની બેઠક દ્વારા આ દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા પણ પ્રયાસો કર્યા છે. ભારત અને UAEની સંયુક્ત પંચની 13મી બેઠક વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાઈ ગઈ. વિદેશમંત્રી એસ.જયશંકર અને UAEના વિદેશમંત્રી અબ્દુલ્લાહ બિન જહયાદ અલ નહયાન આ બેઠકમાં ઉપસ્થિત હતા.
બંને પક્ષોએ કોવિડના લીધે ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી તથા દ્રિપક્ષીય બાબતો અંગે પણ ચર્ચા કરી હતી. બંને દેશોએ આ મહામારીનો સાથે મળીને સામનો કરવાનો નિર્ણય લીધો છે. ભારતે ગત એપ્રિલ મહિનામાં કોવિડના સારવારમાં ઉપયોગી એવી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની 55 લાખ ગોળીઓ UAEને આપી હતી.
ગત મે માસમાં ભારતે UAEમાં આઈસીયુમાં સારવાર લઈ રહેલા કોવિડના દર્દીઓને મદદરૂપ થવા 88 નર્સ મોકલી આપી હતી. એવી જ રીતે UAEએ પણ 7 મેટ્રીક ટન તબીબી પુરવઠો ભારતને મોકલી આપ્યો હતો. બંને દેશોના પ્રધાનમંત્રીઓએ ટેલિફોન ઉપર સંવાદ કરીને કોવીડ સામેની લડત અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
સંયુક્ત પંચની બેઠકમાં બંને દેશો વચ્ચે કોવિડ સામેની લડતમાં સઘન બનેલા સહકાર અંગે સંતોષ વ્યક્ત કરાયો હતો. એવી જ રીતે કોવિડના લીધે બંને દેશોના અર્થતંત્ર ઉપર થનારી અસર ઘટાડવા લેવા જરૂરી એવા પગલાંઓની પણ ચર્ચા કરાઈ હતી.
બંને દેશોએ વર્તમાન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર ચાલુ રાખીને નવા ક્ષેત્રોમાં તે સઘન બનાવવાનો નિર્ણય કર્યો હતો.
સંયુક્ત પંચની બેઠકમાં અર્થતંત્ર, વેપાર અને મૂડીરોકાણ, કોન્સ્યુલર અને કોમ્યુનિટી બાબતો, સંરક્ષણ તેમજ શિક્ષણ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રો માટે પાંચ ઉપ-સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ ઉપ-સમિતિઓના ભારત અને UAEના સભ્યોએ પણ વિવિધ મુદ્દાઓ અંગે મુક્તમને વાતચીત કરી હતી.
સંયુક્ત પંચની આ બેઠકમાં દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં તાજેતરમાં થયેલી ઘટનાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તથા સંયુક્ત રાષ્ટ્રસંઘ અને બીજા આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ભારત અને UAEનો સહકાર વધુ મજબુત બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
ઉલ્લેખનિય છે કે, અમેરિકા, ઈઝરાયલ, UAE વચ્ચે થયેલી ચર્ચાના અંતે UAE અને ઈઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધો સામાન્ય બનાવવા અંગે લેવાયેલી નિર્ણયને ભારતે આવકાર્યો છે.
આ બેઠકમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ઈસ્લામીક સહકાર સંગઠન જેવા મંચો પર UAE દ્વારા ભારતને અપાતા સમર્થન અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. એવી જ રીતે કોરોનાના કારણે UAEમાં અટવાયેલા ભારતીયોને UAEના વહિવટીતંત્રે જે મદદ કરી, એ બાબતને શ્રી જયશંકરે આવકારી હતી.
ભારત અને UAEએ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં તાજેતરમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત બન્યા છે. UAE ભારતનો વિશ્વનો ત્રીજા ક્રમાંકનો વેપાર ભાગીદાર દેશ છે. એવી જ રીતે અખાતી દેશોના મૂડીરોકાણની સરખામણીએ UAEએ ભારતમાં વધુ મૂડીરોકાણ કર્યું છે.
UAEમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા ભારતીયોની સંખ્યા પણ નોંધપાત્ર છે. આમ બંને દેશો વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની સાથે સાથે કોવિડ જેવી બિમારીનો પણ સાથે મળીને સામનો કરી રહ્યા છે.
લેખક-પશ્ચિમ એશિયાના વ્યુહાત્મક બાબતોના વિશ્લેષક ડો.મહંમદ મુદ્દસ્સર કમાર
શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર
Comments
Post a Comment