પાકિસ્તાન સરકારે ગયા સપ્તાહમાં બે જાહેરનામા બહાર પાડીને 88 આતંકવાદીઓ ઉપર આર્થિક પ્રતિબંધો લાદવની જાહેરાત કરી છે. આ જાહેરનામામાં ઘણા આતંકવાદી સંગઠનોના નેતાઓ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરાઈ છે. જેમાં 2008 માં મુંબઈ પરના આતંકવાદી હુમલાના સૂત્રધાર મનાતા મસૂદ અઝહરનો પણ સમાવેશ થયો છે. એવી જ રીતે ભારતમાં દાણચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ધરવાનો આરોપ ધરાવતા દાઉદ ઇબ્રાહીમનો પણ આ સૂચિમાં સમાવેશ કરાયો છે.
પાકિસ્તાન સરકારે તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-જાંગવી અને હરકત-ઉલ-અન્સાર જેવી કૃખ્યાત આતંકવાદી સંસ્થાઓ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે સંબંધિત આતંકવાદીઓ અને સંસ્થાઓની સ્થાવર અને જંગમ અસ્કયામતો જપ્ત કરવાનો તથા તેમના બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ સંબંધિતોને વિદેશ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદની સૂચના મુજબ પાકિસ્તાન સરકારે આ પગલાં લીધા છે. પાકિસ્તાને પ્રથમવાર કબૂલ કર્યું હતું કે, દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છે. આતંકવાદીઓની સૂચિમાં દાઉદ ઇબ્રાહીમનું નામ અને કરાંચી ખાતેનું તેનું સરનામું પણ પાકિસ્તાન સરકારે દર્શાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે ઘણાં પ્રયત્નો કર્યા અને ગયા વર્ષે પણ દાઉદની માહિતી પણ પાકિસ્તાનને આપી હતી છતાં પાકિસ્તાન સરકાર દાઉદ તેમના ત્યાં હોવાનો ઇનકાર કરી રહી હતી. એ બાબત બધા જ જાણે છે કે, આતંકવાદી સંગઠનોને મળતી આર્થિક સહાય ઉપર નજર રાખતા પેરિસ ખાતેના આર્થિક કાર્યવાહી દળ – FATF દ્વારા પાકિસ્તાન ઉપર અસાધારણ દબાણ વધારવામાં આવ્યું છે.
FATF એ વર્ષ 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું અને જો પાકિસ્તાન આતંકવાદીઓ સામે કાર્યવાહી કરશે નહીં તો તેને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી. FATF દ્વારા બ્લેકલિસ્ટમાં મૂકાયેલ દેશને વિશ્વ બેન્ક અને IMF જેવી સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવું અશક્ય બનતું હોવાથી પાકિસ્તાન ઉપર અસાધારણ દબાણ ઉભું થયું છે. પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ સામે કથિત રીતે કરાયેલી કાર્યવાહી પ્રથમવારની નથી પણ તે વિશ્વ સમુદાયને દેખાડવા પૂરતી કરવામાં આવી છે.
છેલ્લાં દશકામાં પાકિસ્તાને હાફીઝ સઈદની એકથી વધુ વખત ધરપકડ કરીને કોઈના કોઈ બહાને તેને મુક્ત કર્યો છે. પાકિસ્તાનમાં રહેલી આતંકવાદી સંસ્થાઓ જે રીતે પોતાનું નામ બદલે છે અને કાર્યવાહી ચાલુ રાખે છે તે બાબત પાકિસ્તાન આતંકવાદી સંગઠનો અંગે ગંભીર નથી એવું પૂરવાર કરે છે. જો પાકિસ્તાન ગંભીરતાથી આતંકવાદ સામે કાર્યવાહી કરવા ઇચ્છતું હોત તો ઓસામા બીન લાદેનને તેને પાંચ વર્ષ સુધી આશરો આપ્યો ન હોત.
ઓસામાના સરનામાની અમેરિકાને જાણકારી આપનાર ડોક્ટર આફ્રીદી હાલ પાકિસ્તાનની જેલમાં છે. પાકિસ્તાન દ્વારા તાજેતરમાં મૂકાયેલા પ્રતિબંધમાં ઝકી-ઉર-રહેમાન લકવી અને દાઉદ ઇબ્રાહીમ સામે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી ધારાની કલમો લગાવવામાં આવી નથી.
પાકિસ્તાને દાઉદનું નામ આતંકવાદીઓની સૂચિમાં સામેલ કર્યા પછી થોડીક મીનિટોમાં આ નામ દૂર કર્યું હતું.
આ બધી જ પાર્શ્વભૂમિમાં પાકિસ્તાન દ્વારા તાજેતરમાં લેવાયેલા પગલાં એ નહીંવત ગણાવી શકાય. હાલમાં પાકિસ્તાન સામે FATF દ્વારા બ્લેકલિસ્ટમાં ન મૂકવા માટે પ્રાયસો થઈ રહ્યા છે. FATF સંસ્થાએ તેને બતાવેલા 27 પૈકી બાકી રહેલા 23 મુદ્દાઓ અંગે આગામી ઓકટોબર સુધીમાં કાર્યવાહી કરવાની સૂચના પાકિસ્તાનને આપી છે. ખરેખર પાકિસ્તાને આતંકવાદનો ખતરો અને દૂષણની ગંભીરતા જાણીને વૈશ્વિક શાંતિ માટે આતંકવાદ સામે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ પણ વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાનને હજી પણ આ બાબતનું જ્ઞાન થયું હોય તેવું જણાતું નથી.
લેખક : રાજકીય સમીક્ષક અશોક હાંડુ
Comments
Post a Comment