કોઈપણ દેશ માટે માર્ગ એ જીવાદોરી સમાન હોય છે. સારા માર્ગોના કારણે માલ-સામાન અને મુસાફરોની હેરફેર સરળતાથી થતી હોવાથી અર્થતંત્રના વિકાસમાં તે મદદરૂપ બને છે.
ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશની પ્રગતિ માટે નવા માર્ગોનું નિર્માણ ખૂબ જ અગત્યનું ગણાવી શકાય. કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત હેઠળ સારા માર્ગોની માળખાકીય સુવિધા વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની માર્ગની સુવિધામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના વિવિધ સ્થળોએ સારા માર્ગોની સુવિધા ઉપલબ્ધ થવા લાગવાથી ઝડપી વિકાસ શક્ય બન્યો છે. ભારત પાસે સમગ્ર વિશ્વમાં આશરે 55 લાખ કિલો મીટર લંબાઈના ધોરીમાર્ગોનું વિશ્વમાં સૌથી મોટુ નેટવર્ક છે, જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો તથા શહેરી અને ગ્રામીણ માર્ગોનો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં ઉપલબ્ધ માર્ગના કુલ નેટવર્કમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોનો હિસ્સો બે ટકા જેટલો છે અને તે કુલ પરિવહનમાં 40 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ભારત સરકારે અમલમાં મુકેલી ભારત માલા પરિયોજના દેશમાં 66 હજાર 100 કિલોમીટરના આર્થિક કોરિડોર, સરહદી અને દરિયાકાંઠાના માર્ગો અને એક્સપ્રેસ-વે બાંધવાની નેમ ધરાવે છે. આ પ્રોજેક્ટ હેઠળ પર્યટન સ્થળોને જોળતા માર્ગો બંધાશે તેમજ જૂના માર્ગોનું સમારકામ કરાશે. આ કાર્યક્રમ હેઠળ 550 જિલ્લાઓમાં ચાર માર્ગીય ધોરીમાર્ગ બાંધવાની યોજના છે, જેના લીધે વાહનોની ગતીમાં 20થી 25 ટકાનો વધારો થશે.
આ યોજનાનો પ્રથમ તબક્કો 82 અબજ અમેરિકી ડોલરના મૂડીરોકાણ સાથે આગામી બે વર્ષમાં હાથ ધરવાની નેમ રખાઈ છે, જેમાં 34 હજાર 800 કિલોમીટરના ધોરીમાર્ગો બાંધવામાં આવશે.
ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે 2019-20ના નાણાંકીય વર્ષમાં ત્રણ હજાર 979 કિલોમીટરના ધોરીમાર્ગોનું બાંધકામ પૂર્ણ કર્યું છે.
ધોરીમાર્ગો આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તે બાબત ધ્યાનમાં લઈને સરકારે ગુણવત્તાયુક્ત ધોરીમાર્ગોના બાંધકામ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ભારતમાં માર્ગોની સુવિધા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબની હોય તે બાબત પણ કેન્દ્રમાં રખાઈ છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગોની માળખાકીય સુવિધાથી જોડાણો તથા ગતિશીલતા વધશે તથા સામાજીક-આર્થિક વિકાસને વેગ મળશે.
રોગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 25 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં 26 ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું તથા 19 અન્ય યોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ યોજનામાં 1 હજાર 361 કિલોમીટર લંબાઈના રસ્તાઓનો સમાવેશ થાય છે. આ રસ્તાઓ દ્વારા જોડાણો વધશે અને મધ્યપ્રદેશમાં આર્થિક વૃદ્ધિ રોજગારી તથા સમાવેશી વિકાસમાં મદદ મળશે.
કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશ સરકાર સાથે મળીને ચંબલ એક્સપ્રેસ હાઈ-વે બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ હાઈ-વે બનવાથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશના અંતરીયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ અને આદિજાતીના લોકોને મોટો ફાયદો થશે.
આ હાઈવે દ્વારા દિલ્હી-કોલકતા કોરીડોર, ઉત્તર-દક્ષિણ કોરીડોર પૂર્વ-પશ્ચિમ કોરીડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે સાથે જોડાણ થવાથી આસપાસના જિલ્લાઓના લોકોને રોજગારી મળશે.
દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈને જોડતા ધોરીમાર્ગોની ચર્તુભુજ યોજના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈ દ્વારા શરૂ કરાઈ હતી. સરકાર રસ્તાઓના માળખાને વધુ વ્યાપક અને સંકલિત બનાવી રહી છે.
પરિવહન સેવાઓને પૂરક બનાવાઈ રહી છે. રેલ સેવા રોડ, રોડ સેવા દરિયાઈ બંદરો અને દરિયાઈ બંદરો હવાઈ સેવાઓના પૂરક બનાવાઈ રહ્યા છે. આ આંતર-જોડાણો દ્વારા રેલ તથા રોડ, હવાઈ મથકો તથા બંદરો, રેલવે તથા બસ સ્ટેશનો વચ્ચેનું સરળ સંકલન સુનિશ્ચિત થશે. હિમાચલની ચોટીથી લઈને હિંદ મહાસાગરના દ્વીપ સમુહો સુધી દરેક દિશામાં જોડાણો વધારવા પર ભાર મુકાઈ રહ્યો છે.
આ આંતર જોડાણો ઉપરાંત દરીયા કિનારાની માળખાકીય સુવિધાઓનો પણ વિકાસ કરાઈ રહ્યો છે. વિશ્વ વેપારમાં દરિયાકિનારા મહત્વપૂર્ણ હોઈ સમગ્ર દરિયાકિનારે ચાર-માર્ગીય રસ્તાનું નિર્માણ કરવા પણ ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે. NHALએ દરિયાકિનારે જોડાણ વધારવા 1500 કિ.મી.ના રોડ પ્રોજેક્ટ તારવી કાઢ્યા છે. દરિયાઈ માળખાકીય વિકાસ દેશની સુરક્ષાને મજબૂત કરવામાં પણ મદદરૂપ બનશે.
લેખક – વરીષ્ઠ પત્રકાર કે.વી.વેંકટસુબ્રમણ્યમ
Comments
Post a Comment