તાલિબાનની દોહા ખાતેની રાજકીય કચેરીના વડા મુલ્લા અબ્દુલ ઘની બરદારના વડપણ હેઠળના પ્રતિનિધી મંડળે. અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયામાં હવે પછી ચર્ચા કેવી રીતે આગળ વધારવી તે અંગે વાતચીત કરવા પાકિસ્તાનની મુલાકાત લીધી છે.
છેલ્લા 10 મહિનામાં મુલ્લા બરદારની પાકિસ્તાનની આ બીજી મુલાકાત છે. અગાઉ ઓક્ટોબર 2019માં તેણે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. વર્ષ 2019ની મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનો અમેરીકન સૈનિકો ઉપર હુમલા કરી રહ્યા હોવાનો આક્ષેપ કરીને અફઘાન શાંતિ પ્રક્રિયા અધવચ્ચે રોકી હતી.
ઇસ્લામાબાદમાં યોજાયેલી વાતચીતમાં પાકિસ્તાનની કુખ્યાત આઈ.એસ.આઈ.ના વડા લેફટનંન્ટ જનરલ ફૈઝ હમીદ પણ ઉપસ્થિત રહ્યા હતા. રશિયાએ વર્ષ 1980માં અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો ત્યારથી આઈ.એસ.આઈ. અફઘાનના તાલિબાનો સાથે સારો સંબંધ ધરાવે છે. તાલિબાનોને શાંતિ પ્રક્રિયામાં જોડવામાં તથા અમેરિકા સાથે ગત ફેબ્રુઆરી માસમાં સમજૂતી કરવામાં આઈ.એસ.આઈ.એ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.
તાલિબાનો અફઘાનિસ્તાનની અશરફ ઘની સરકારને માન્યતા આપતા નથી. તેઓ વર્તમાન અફઘાન સરકારને પશ્ચિમી દેશોનો પ્રભાવ ધરાવતી સરકાર માને છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપનાર 88 જૂથોની યાદીમાં અફઘાન ત્રાસવાદી જૂથને સામેલ કર્યું હતું. તેના બીજા દિવસે ઇસ્લામાબાદમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધી મંડળ શાંતિ પ્રક્રિયા અંગે વાતચીત કરવા આવ્યું હતું. એ જાણીતી બાબત છે કે, પાકિસ્તાન તાલિબાનો ઉપર નિયંત્રણ રાખી શકે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષોથી સાંસ્કૃતિક સંબંધો સ્થપાયેલા છે. અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણ અને પુનઃવસન કાર્યમાં ભારતે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.
ભારત માને છે કે, લોકશાહી અને વિકાસ આ બે બાબતોના લીધે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાની જાળવણી થશે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ હમીદ કરઝાઇએ ઓક્ટોબર 2011માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બંને દેશોના સંબંધો મજબૂત બનાવતી સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચે રાજકીય આર્થિક સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2003થી અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણ કામગીરીમાં ભારત સંડોવાયેલું છે. અત્યારસુધીમાં ભારતે અફઘાનિસ્તાનમાં બંધ, માર્ગો, હોસ્પિટલો જેવી માળખાકીય સુવિધાઓ વિકસાવવા બે અબજ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીએ સાથે મળીને હારી નદી ઉપર બંધાયેલા સલમા બંધનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ બંધ અફઘાનિસ્તાનમાં 75 હજાર હેકટર જમીનમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.
આ ઉપરાંત બંધ ખાતે 42 મેગાવોટ વિજ ઉત્પાદન કરતાં એકમો પણ ગોઠવવામાં આવ્યા છે. ભારતે અફઘાન નાગરિકોના શૈક્ષણિક અને કૌશલ્ય વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરી છે.
ભારત અફઘાનિસ્તાનમાં થઇ રહેલી ઘટનાઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. ભારતે અમેરિકા અને તાલિબાનો વચ્ચે સધાયેલી સમજૂતીને આવકારી છે. ભારત અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારને માન્યતા આપે છે અને તાલિબાનો અફઘાનિસ્તાનમાં લોકતાંત્રિક માળખું ગોઠવાય એવી ઇચ્છા ધરાવે છે.
કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં પણ ભારતે અફઘાનિસ્તાનને અનાજ અને દવાઓનો જથ્થો પૂરો પાડયો હતો. સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની બિમારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અફઘાનિસ્તાન કોરોના ઉપરાંત શાંતિની સ્થાપના માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ઘણા અફઘાન નાગરિકો શાંતિ પ્રક્રિયાને તાલિબાનો સાથે દાયકાઓ જૂના સંઘર્ષને નાબુદ કરવાનો શ્રેષ્ઠ ઉપાય ગણાવે છે.
અફઘાનિસ્તાનમાંથી અમેરીકી દળો પાછા ખેંચાયા બાદ અફઘાનિસ્તાનમાં વિવિધ જૂથો શાંતિની જાળવણી પ્રત્યે કેટલા સમર્પિત છે તેનો વાસ્તવિક માહિતી મળી શકશે.
શ્રીરંગ, નવીન
લેખિકા – વ્યૂહાત્મક વિશ્લેષક ડો. સ્મિતા
Comments
Post a Comment