ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે શસ્ત્રો નિકાસ કરતાં દેશોની હરોળમાં સ્થાન લેવાના ઇરાદા સાથે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસનીતિનો મુસદ્દો તૈયાર કર્યો છે. વર્ષ 2025 સુધીમાં ભારતથી સંરક્ષણ ક્ષેત્રે થતી નિકાસમાં સ્વદેશી ઉત્પાદનનું પ્રમાણ વધારીને 25 અબજ અમેરિકી ડોલર કરવાની નેમ વ્યક્ત કરાઈ છે.
ભારત સંરક્ષણ ક્ષેત્રની આયાત કરનાર વિશ્વમાં ત્રીજા ક્રમાંકનો દેશ છે. નવી સંરક્ષણ નીતિમાં સ્વદેશી ઉત્પાદન વધારીને ભારતની આયાત ઘટાડીને તેને વિશ્વમાં પાંચમા ક્રમાંકનો આયાતકર્તા દેશ બનાવવાની નેમ રખાઈ છે.
સંરક્ષણ મંત્રાલયે નવી સંરક્ષણ નીતિનો મુસદ્દો જાહેર કર્યો છે અને લગતાવળગતાઓને આ અંગે સૂચનો મોકલવાની અપીલ કરી છે. સંબંધિતોએ આગામી ત્રણ સપ્તાહમાં સૂચનો મોકલવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણની મહત્તમ મર્યાદા 49 ટકા હતી તે તાજેતરમાં વધારીને 74 ટકા કરી છે. આ પાર્શ્વ ભૂમિમાં ભારત સરકારે જાહેર કરેલો સંરક્ષણ ક્ષેત્રની નવી નીતિનો મુસદ્દો આગવું મહત્વ ધારણ કરે છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકાર સંરક્ષણ ક્ષેત્રની ખરીદી વખતે આંતરરાષ્ટ્રીય સ્તરના અદ્યતન શસ્ત્રો ઉપર ધ્યાન આપવાની સાથે સાથે ઘરઆંગણે સ્વદેશી ટેકનોલોજી વડે શસ્ત્રો ઉત્પાદન ઉપર પણ ભાર મૂકશે. ભારતે સલામતી દળોને અદ્યતન શસ્ત્રો વડે વધુ ક્ષમતા આપવાનો નિર્ણય લીધો છે જેના ભાગરૂપે ફ્રાન્સ પાસેથી અદ્યતન ટેકનોલોજીવાળા રાફેલ યુધ્ધ વિમાનો મેળવવામાં આવ્યા છે.
ભારત નવી સંરક્ષણ નીતિની મદદથી આંતરરાષ્ટ્રીય સ્તરે એરોસ્પેસ અને નૌકાદળના શસ્ત્રો બાબતે સ્પર્ધાત્મકતા કેળવવા ઇચ્છે છે. સંરક્ષણ નીતિના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે આ ક્ષેત્રની નીતિનો મુસદ્દો સ્થાનિક સ્તરેથી કરાતી ખરીદીમાં સુધારો લાવવાની ખાતરી આપે છે. નવી નીતિના મુસદ્દામાં સ્ટાર્ટઅપ, નાના અને મધ્યમ ઉદ્યોગો ઉપર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તે બાબત આવકારદાયક છે.
ખાનગી ક્ષેત્ર માટે અવકાશ ક્ષેત્ર મુક્ત કરવાનો નિર્ણય પણ ભારતમાં અદ્યતન શસ્ત્રો અને ઉપકરણો બનાવવાની કામગીરીને નવો વેગ આપશે. સરકારે તેની નીતિમાં ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડને કોર્પોરેટાઇઝ કરવાની નેમ વ્યક્ત કરી છે. આને લીધે વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓ અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે થોડાક સમય પહેલાં જાહેર કરેલ 20 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ પણ મેક ઇન ઇન્ડિયા બાબત ઉપર ભાર મૂકે છે.
આ પેકેજમાં એમ.એસ.એમ.ઈ. ક્ષેત્ર માટે ઘણી નાણાંકીય રાહતોની જાહેરાત કરાઈ છે. આથી જ વર્ષ 2025 સુધીમાં 25 અબજ અમેરિકી ડોલરના સંરક્ષણ ઉત્પાદનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ખૂબ જ મહત્વના એવા એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને મહત્વ અપાયું છે.
આ ક્ષેત્ર દેશમાં રોજગારીની વધુ તકો અપાવતું ક્ષેત્ર છે. ટૂંકમાં નવી સંરક્ષણ નીતિ રોજગારની નવી તકો સર્જવાની સાથે સાથે ભારતીય અર્થતંત્રને નવો વેગ આપશે.
ઉલ્લેખનીય છે કે, મેક ઇન ઇન્ડિયા ઝૂંબેશે તાજેતરમાં ઘણાં ક્ષેત્રોમાં ખાસ કરીને વિજાણું ક્ષેત્રમાં સારા પરિણામો દર્શાવ્યા છે. સ્ટોકહોમ આંતરરાષ્ટ્રીય શાંતિ સંશોધન સંસ્થાના અહેવાલમાં જણાવ્યું છે કે, વર્ષ 2017-2018 માં ભારતની સંરક્ષણ ક્ષેત્રની નિકાસ ચાર હજાર, 682 કરોડ રૂપિયા હતી તે વધીને 2018-2019માં 10 હજાર, 745 કરોડ રૂપિયાની થઈ છે. આ બાબત ધ્યાનમાં લેતાં સંરક્ષણ ક્ષેત્રની નવી નીતિનો મુસદ્દો આગવું મહત્વ ધરાણ કરે છે.
Comments
Post a Comment