ભારતે નોંધપાત્ર કામગીરી દ્વારા વિશ્વ બૌધ્ધિક સંપદા સંસ્થાની વાર્ષિક સૂચિમાં ટોચના 50 ઈનોવેટીવ કન્ટ્રીમાં સ્થાન મેળવ્યું છે.ભારતે વૈશ્વિક નવકલ્પના સૂચકાંક 2020માં 48મું સ્થાન મેળવ્યું છે, જે અગાઉના સૂચકાંક કરતા ચાર સ્થાનોનો સુધારો દર્શાવે છે.આ સૂચિમાં સ્વીટ્ઝરલેન્ડ, સ્વીડન, અમેરિકા, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ ટોચના સ્થાને છે.જોકે ભારતના સ્થાનમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. વર્ષ 2015માં ભારત 81માં સ્થાને હતો.વર્ષ 2019માં 52માં અને હવે 2020ની સૂચિમાં તે 48 સ્થાને પહોંચ્યો છે.જ્ઞાનનું ભંડોળ, કાર્યક્ષમ સ્ટાર્ટ-અપ તથા ખાનગી અને જાહેર સંસ્થાઓએ કરેલા સંશોધન કાર્યના આધારે દેશનું સૂચિમાં સ્થાન નિર્ધારીત થતું હોય છે.કેન્દ્રની NDA સરકારે નવકલ્પનાને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ મંચો પરથી ઈનોવેશન, અર્થાત નવકલ્પના અંગે વિચારો પ્રસ્તુત કર્યા છે.તેમણે સ્વાતંત્ર્ય દિવસના ભાષણમાં પણ કહ્યું હતું કે, સ્પર્ધાત્મક વિશ્વમાં ટકી રહેવા માટે ભારતે ઈનોવેટીવ અર્થાત કલ્પનાશીલ બનવું પડશે.ભારતને પ્રગતીના પંથે આગળ ધપાવવા માટે સંશોધન અને નવકલ્પનાને આગળ વધારવા પડશે.તાજેતરમાં જાહેર થયેલી નવી શિક્ષણનીતિમાં જ્ઞાન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા શિક્ષણ વ્યવસ્થાની પુનઃ રચના કરવામાં આવી છે.આમ થવાથી વિકસતા અર્થતંત્રમાં શિક્ષિત યુવાનો પોતાનું યોગદાન આપી શકે છે.નવી શિક્ષણ નીતિમાં જણાવ્યું છે કે, શિક્ષણ નીતિનો ઉદ્દેશ રોજગારની તક પૂરી પાડવાથી વધુ છે.નીતિ આયોગે જરૂરી સંસ્થાકીય માળખુ પુરૂ પાડીને ઈનોવેશન કાર્યક્રમને કેન્દ્ર સરકારનો ફ્લેગશીપ કાર્યક્રમ બનાવ્યો છે.આ કાર્યક્રમને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલબિહારી વાજપેયીનું નામ આપવામાં આવ્યું છે.શ્રી વાજપેયીએ જય જવાન-જય કિસાન સૂત્રની સાથે જય વિજ્ઞાન જોડીને વિજ્ઞાન અને ટેકનોલોજીને રાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્વના મુદ્દામાં સ્થાન આપ્યું હતું.આમ અટલ ઈનોવેશન મિશનનો ઉદ્દેશ ઉદ્યોગ સાહસિકતા અને નવકલ્પનાને પ્રોત્સાહન આપીને ભારતની આગામી વર્ષની જરૂરીયાત સંતોષવાનો છે.અટલ ઈનોવેશન મિશન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો શાળા,કોલેજ સહિત વિવિધ મંચો ઉપર નવકલ્પના અને સંશોધનને પ્રોત્સાહન આપે છે.આ મિશનનું મુખ્ય ધ્યેય – વૈજ્ઞાનિક, ઔદ્યોગિક, કૃષિ તથા તબીબી ક્ષેત્રના સંશોધનોને નવકલ્પનાના કાર્યક્ષેત્રમાં લાવવાનો છે.જ્યાં સુધી સંશોધન અને નવકલ્પના પ્રયોગશાળામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી ભારતનું આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન સાકાર નહીં થાય.વહિવટીતંત્રના નિયંત્રણથી મુક્ત એવા વાતાવરણમાં જ નવકલ્પના સાકાર થઈ શકે છે.દેશની વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાઓમાં પરિવર્તન લાવવું એ કેન્દ્ર સરકાર સામેનો મુખ્ય પડકાર છે.ભારત સરકાર દેશના વિકાસમાં ખાનગી ક્ષેત્રને પણ સમાન રીતે ભાગીદાર બનાવવા ઈચ્છે છે, ત્યારે ખાનગી ક્ષેત્રને સંશોધન અને નવકલ્પનામાં પણ સહભાગી બનાવવું પડશે.ભારતમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સરળતાથી નાણાંકીય સહાય મળે તેવી સ્થીર વ્યવસ્થા ગોઠવવી એ બાબત પણ મુખ્ય પડકાર સ્વરૂપ છે.સરકારે ઈનોવેશનને ટેકો આપવા ઘણાં કાર્યક્રમો શરૂ કર્યા છે.જોકે ઈનોવેશનને મદદરૂપ થવામાં નાણાં સંસ્થાઓ હજી પણ ખચકાટ અનુભવે છે, કારણ કે, નવકલ્પનાનું વેપારી ધોરણે વિસ્તરણ અને લાંબા ગાળે વેપારની રીતે તે ટકી શકવા અંગે નાણાં સંસ્થાઓને હજી આશંકા છે.કોવીડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિએ દેશને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં ઝડપ લાવવી પડશે, તે બાબત બધાને સમજાઈ છે.આમ દરેક સમસ્યા નવી તકો, નવા સર્જનો માટેના દ્વાર ખોલે છે.હાલની કોવીડની સમસ્યાએ આરોગ્ય સંભાળ ક્ષેત્રે નવકલ્પના દ્વાર ઉકેલ લાવવા પ્રોત્સાહન આપ્યું છે.ભારતને પણ આ બાબત સમજાઈ છે કે, નવકલ્પનાને પ્રોત્સાહન આપવાની તક ઝડપવાની તાતી જરૂર છે.
શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર
લેખક – ભારતીય વિજ્ઞાન પત્રિકાના તંત્રી એન.ભદ્રન નાયર
Comments
Post a Comment