વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક વૈભવ સમિટ – 2020ની વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે વર્ચ્યુઅલ શરૂઆત થઈ. જેમાં 55 દેશોના ત્રણ હજાર જેટલાં વિદેશી, ભારતીય મૂળના બૌદ્ધિકો, શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. અંદાજે 10 હજાર ભારતીય વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને વિદ્યાર્થીઓ પણ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી તથા શિક્ષણનો પાયો મજબૂત બનાવવા, વિદેશમાં રહેતા ભારતીય વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, તથા સંશોધિત સંસ્થાઓના પ્રતિનિધિઓને એક મંચ ઉપર લાવીને ચર્ચા કરવીએ વૈભવ સંમેલનનો મુખ્ય હેતુ છે. 31મી ઓક્ટોબર સુધી ચાલનાર વૈભવ સમિટનું આયોજન 200 જેટલી ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ, અને એસએન્ડટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 40 દેશોના 700 જેટલા વિદેશી વક્તા અને જાણીતા ભારતીય શિક્ષણવિદો 213 ચર્ચા સત્રોમાં 80થી વધુ વિષયો પર સઘન વિચાર વિમર્શ કરશે.
28મી ઓક્ટોબરથી પરિણામો એકીકરણ કર્યા બાદ ત્રીજી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન તેના પર ચર્ચા કરાશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી 31 ઓક્ટોબરના રોજ સમિટનું સમાપન થશે. આ એક નવી પહેલ છે જેમાં વિદેશી નિષ્ણાંતો અને ભારતીય સમકક્ષ વચ્ચે એક મહિના સુધી વિવિધ શ્રેણીમાં વેબિનાર , વીડિયો કોન્ફરન્સથી અભિપ્રાયો, પ્રતિભાવો આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને વિજ્ઞાનમાં વધુ રસરુચિ વિકસાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે, સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાંની માહિતી આપી હતી. તેમણે કહ્યું ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રે થયેલા સુધારાના કારણે ઉદ્યોગકારો અને શિક્ષણવિદોને નવી તક ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું કે, ભારતમાં વર્ષ 2025 સુધીમાં ક્ષય રોગ નાબૂદીનો લક્ષ્યાંક છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, વધુને વધુ યુવાનો વિજ્ઞાનમાં રસ લે તે સમયની માંગ છે અને તે માટે આપણે વિજ્ઞાન, વિજ્ઞાનના ઇતિહાસ અને ઇતિહાસમાં વિજ્ઞાન અંગે વધુ જાણકારી મેળવવી જોઈએ. વૈભવ સમિટ ભારત અને વિશ્વના વિજ્ઞાન અને નવીનીકરણનો ઉત્સવ છે, જે બૌદ્ધિક જનોનો સંગમ છે, જેમાં ભારત સહિત સમગ્ર પૃથ્વી પરની માનવજાતને સશક્ત કરવા એક મંચ પર લાંબી ચર્ચા કરવા સૌ એકઠા થયા છે.
શ્રી મોદીએ કહ્યું કે, વિજ્ઞાનના સંશોધન અને નવીનીકરણ માટે ભારતે અનેક પગલાં લીધા છે કારણ કે, વિજ્ઞાનએ સામાજિક – આર્થિક પરિવર્તનનું કેન્દ્ર બિન્દુ છે. પ્રધાનમંત્રીએ દેશમાં રસી વિકસાવવા અને રસીકરણના અમલીકરણ માટે થયેલા અનેક પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું, લાંબા સમયથી રસીના સંશોધનમાં વિલંબ થયો છે. વર્ષ 2014માં ચાર નવી રસી રજૂ કરાઈ હતી. જેમાં સ્વદેશી વિકસિત રોટા રસીનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ 2025 સુધીમાં ક્ષયમુક્ત ભારતના મહત્વાકાંક્ષી મિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે, આનાથી સ્ટાટઅપ ક્ષેત્ર તથા ઉત્પાદન ક્ષેત્રને વેગ મળશે.
શ્રી મોદીએ કહ્યું કે, વૈભવથી જોડાણ અને હિસ્સેદારી માટેની તકો ઊભી થશે.વૈભવ દ્વારા નિષ્ણાંતોને એક મંચ મળશે જેનાથી આદર્શ સંશોધન વ્યવસ્થા, પ્રાચીન-અર્વાચીનના સંગમ દ્વારા સમૃદ્ધિમાં વધારો થશે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ઉપયોગી જોડાણો થશે અને વૈજ્ઞાનિકો અને સંશોધકોને આદર્શ વ્યવસ્થા ઊભી કરવામાં મદદ મળશે. શ્રી મોદીએ કહ્યું કે, આ પરિષદ દ્વારા આવનાર પેઢી માટે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ માટે તક ઊભી થશે.
આ પરિષદ દ્વારા સંશોધકોના જ્ઞાનને આપ-લેથી વિશ્વ સામેના અનેક પડકારો સામેની લડત માટેની વ્યૂહરચના ઘડવામાં મદદ મળશે.
ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે. વિજય રાઘવન તથા વિવિધ દેશોના વિવિધ ક્ષેત્રો સામે સંકળાયેલા 16 પેનલીસ્ટોએ શ્રી મોદી સાથે વાતચીત અને વિચારોની આપ-લે કરી હતી.
Comments
Post a Comment