પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા ગુરૂવારે સંસદના નવા ભવનનો શિલાન્યાસ કર્યો હતો.
સંસદનું નવું ભવન આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણ સાથે બનાવવામાં આવશે.
એવી જ રીતે આઝાદી બાદ લોકોની આશા આકાંક્ષા મુજબ નવું સંસદ ભવન બનાવાશે.
નવા સંસદભવનના શિલાન્યાસ સમારોહમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, બીજા મંત્રીઓ, સાંસદો તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સર્વધર્મીય પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગને ભારતની લોકશાહીના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો.
તેમણે દેશના નાગરીકોને સાથે મળીને નવા સંસદભવનના નિર્માણ કાર્યમાં જોડાવાનું આહવાન કર્યું હતું.
તેમણે કહ્યું કે, દેશ આઝાદી મળ્યાને 75 વર્ષ પૂરા થયાની ઉજવણી કરશે, ત્યારે નવા સંસદભવનનું નિર્માણ થયું હશે, એ કલ્પના જ સુંદર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ની એ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો કે, સાંસદ તરીકે ગૃહમાં પ્રવેશ કરતા પહેલા તેમણે લોકસભાના પગથીયે શીશ ઝૂકાવીને લોકશાહીના મંદિર સમા સંસદને પ્રણામ કર્યા હતા.
શ્રી મોદીએ કહ્યું કે, નવા સંસદભવનમાં એવી નવી ચીજો હશે, જેનાથી સાંસદોની કાર્યક્ષમતા વધશે તથા તેમની કાર્યપદ્ધતી આધુનિક બનશે.
જૂના સંસદભવને સ્વતંત્ર ભારતને મળતી નવી દિશા જોઈ હતી, તો તેનું નવુ સંસદભવન આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે.
જૂના સંસદભવનમાં દેશની જરૂરીયાતો પૂર્ણ કરવાની કામગીરી થઈ હતી, તો નવા સંસદ ભવન 21મી સદીના ભારતની આશાઓ પૂર્ણ થતી નીહાળવાનું સાક્ષી બનશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, બીજા સ્થળોએ લોકશાહી એટલે પ્રક્રિયા, વહિવટ અને વહિવટીતંત્ર ગણાય છે, જ્યારે ભારતમાં લોકશાહી એટલે જીવન મૂલ્ય, જીવન પદ્ધતિ અને દેશનો આત્મા છે.
ભારતની લોકશાહી વ્યવસ્થા અનુભવોના આધારે તૈયાર થઈ છે.
ભારતની આ લોકશાહી વ્યવસ્થા અને પદ્ધતિ જ દેશના વિકાસને નવું બળ આપે છે.
શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જેમ જેમ વર્ષો વીતતા જાય છે, તેમ તેમ લોકોમાં જાગૃતી વધી રહી છે અને દરેક ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધતી જાય છે.
તેમણે કહ્યું કે, ભારતમાં લોકશાહી એટલે વહિવટીતંત્ર સાથેના મુદ્દાઓ માન્ય રીતે ઉકેલવાની પરંપરા...
વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશમાં ભિન્ન મતને હંમેશા જગ્યા આપીને ભિન્ન મત ધરાવતા લોકો પ્રક્રિયાથી અલગ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે.
શ્રી મોદીએ કહ્યું કે, નીતિ અને રાજકારણમાં ભીન્નતા હોઈ શકે છે પણ લોકસેવાના આખરી લક્ષ્યમાં કોઈ ભિન્નતા હોઈ શકે નહીં.
રાષ્ટ્રસેવા પ્રત્યે સમર્પિતતા દેશહિતને સર્વોચ્ચ ગણવા તથા સંસદમાં તેમજ બહાર પણ ચર્ચા થવી એ બાબતોને અગ્રતા આપવી જોઈએ.
લોકશાહી વ્યવસ્થાના પાયારૂપે નાગરિકોમાં પોતાની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃતી કેળવવા પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે, સંસદમાં દાખલ થનાર દરેક વ્યક્તિ જાહેરજીવન તથા બંધારણ પ્રત્યે જવાબદા હોય છે.
શ્રી મોદીએ કહ્યું કે, લોકપ્રતિનિધિઓની સમર્પિતતા, સેવાભાવના, આચરણ, વિચારો જ લોકશાહીના મંદિર એવા સંસદને નવજીવન આપે છે.
તેમણે બધા જ સાંસદો તથા લોકોને ભારતની પ્રગતિની ઉપાસના કરવા ભારતના વિકાસ પ્રત્યે સમર્પિત રહેવા, દેશને ફીટ રાખવાના પ્રયાસો કરવા તથા દેશની શક્તિ વધારવા કાર્યરત રહેવાની અપીલ કરી હતી.
તેમણે દેશહિતને સર્વોચ્ચ ગણવા આહવાન કર્યું હતું.
શ્રી મોદીએ વ્યક્તિગત હિત કરતા દેશહિતને અગ્રતાક્રમ આપશે તેવી શપથ લેવા સહુને આહવાન કર્યું હતું.
દેશની એકતા અને અખંડિતતા કરતા બીજુ મહત્વનું હોઈ શકે નહીં.
બંધારણનું ગૌરવ જાળવવાને આપણે જીવનમાં મહત્વ આપવું જોઈએ, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
લેખક – આકાશવાણીના સમાચાર વિશ્લેષક પદમસિંહ
શ્રીરંગ, જતિન કામદાર
Comments
Post a Comment