પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વર્ષ 2021માં દેશ નવી ઉંચાઇઓ હાંસલ કરશે. તેવી આશા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ ભારતની છબી વિશ્વમાં વધુ મજબુત બને તેવી અપેક્ષા દર્શાવી છે.
પ્રધાનમંત્રીએ વીતી રહેલા વર્ષની યાદો મમળાવતા જનતા કફર્યુ જેવા અનુભવોમાં નાગરીકોની ઉત્સાહભેર ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે, જયારે આખા દેશના લોકોએ થાળી વગાડી કોરોના વોરીયર્સનું સન્માન કર્યું ત્યારે કોરોના સામેની લડતમાં લોકોની એકજૂટતા અને ભાગીદારીના દર્શન થયા.
શ્રી મોદીએ કહ્યું કે, દેશના સામાન્યમાં સામાન્ય લોકોએ પરીવર્તનની અનુભુતિ કરી. શ્રી મોદીએ કહ્યું કે, તેમણે દેશમાં આશાની અસાધારણ લહેર જોઇ. કોરોના દરમિયાન અનેક પડકારો આવ્યા દુનિયાભરમાં સપ્લાય ચેન વ્યવસ્થા ખોરવાઇ, પણ આપણે પ્રત્યેક પડકારમાંથી નવો પાઠ શીખ્યા. દેશમાં નવી ક્ષમતાઓ ઉભી થઇ. દેશમાં આત્મનિર્ભર-સ્વનિર્ભર થવાની ક્ષમતા ઉભી થઇ.
પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમના વૈંકટ મુરલી પ્રસાદના પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વેંકટે રોજબરોજ વપરાતી ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેશનરી, સેલ્ફકેર સહિતની અનેક વસ્તુઓની યાદી બનાવી છે. વેંકટે પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જાણ્યે અજાણે આપડે એવી અનેક વિદેશી વસ્તુઓનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ જેના સ્વદેશી વિકલ્પો બજારમાં આસાનીથી ઉપલબ્ધ છે. વેંકેટે પત્રમાં હવેથી ભારતીય ઉત્પાદનો જ વાપરવાની નેમ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ દેશના ઉત્પાદકો અને ઉદ્યોગ અગ્રણીઓને કહ્યું કે, દેશના લોકોએ મજબૂત હિંમતભર્યું પગલું લીધું છે વોકલ ફોર લોકલ આજે પ્રત્યેક ઘરોનો પ્રતિ ધ્વનિ બની રહ્યો છે ત્યારે સ્વદેશી ઉત્પાદનો આંતરારાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતા હોય તે સુનિશ્ચિત કરવું જોઇએ. વિશ્વના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ભારતમાં જ બનેલા હોય તે પુરવાર કરવા ઉદ્યોગ સાહસિકોએ આગળ આવવું પડશે. સ્ટાર્ટઅપ કંપનીઓએ પણ આ દિશામાં આગળ વધવું પડશે.
શ્રી મોદીએ આ પ્રસંગે શ્રી ગુરુ ગોવિંદસિંહજી તથા તેમના પુત્રો, સાહિબઝાદે જોરાવરસિંહ અને ફતેહસિંહને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, જુલમીઓ ઇચ્છતા હતા કે સાહિબઝાદે તેમની માન્યતા છોડી, મહાન ગુરુ પરંપરાનો ત્યાગ કરે. પરંતુ, સાહિબઝાદેએ કૂમળીવયે પણ આશ્ચર્યજનક હિંમત અને નિશ્ચય બતાવ્યો. શ્રી ગુરુ ગોવિંદસિંહજીના કુટુંબના સભ્યો દ્વારા કરવામાં આવેલ શહાદત માનવતાની દીવાદાંડી સમાન બની રહ્યા છે. આ શહાદતનાં આપણે ઋણી છીએ.
દેશમાં દિપડાઓની વધેલી સંખ્યા અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતમાં 2014 થી 2018 ની વચ્ચે, દીપડાઓની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો છે. 2014 માં, દેશમાં દીપડાઓની સંખ્યા લગભગ 7,900 હતી, જ્યારે 2019 માં તે વધીને 12,852 થઈ ગઈ છે.
દેશના મોટાભાગના ભાગોમાં, ખાસ કરીને મધ્ય ભારતમાં દીપડાઓની સંખ્યા વધી છે. દીપડાઓની મહત્તમ વસ્તી ધરાવતા રાજ્યોમાં; મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર ટોચ પર છે. આ વર્ષની આ એક મોટી ઉપલબ્ધિ છે. દીપડો , સમગ્ર વિશ્વમાં જોખમોનો સામનો કરી રહ્યો છે; તેના નિવાસસ્થાનને સમગ્ર વિશ્વમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આવા સંજોગોમાં, ભારતમાં દીપડાઓની વસ્તીમાં સતત વૃદ્ધિએ સમગ્ર વિશ્વને માર્ગ બતાવ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું કે આપણે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત બનાવવાનો છે. 2021ના આપણા સંકલ્પોમાં દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પનો સમાવેશ થવો જોઇએ.
અંતમાં પ્રધાનમંત્રીએ લોકોને નવા વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમણે નાગરિકોને સ્વસ્થ રહેવા અને તેમના પરિવારને પણ સ્વસ્થ રાખવા અનુરોધ કર્યો.
લેખક – કૌશિક રોય
Comments
Post a Comment