ગત ઓક્ટોબર અને નવેમ્બર માસમાં, એટલે કે સતત બે માસ સુધી વસ્તુ અને સેવા કર જીએસટીની આવક એક લાખ કરોડ રૂપિયાને આંબી ગઈ છે.
તેમજ મોટરકારના વેચાણમાં થયેલો વધારો રેલવે દ્વારા કરાતી માલસામાનની આવક વધવી, ઉત્પાદકો માટેના ખરીદી વ્યવસ્થાપન સૂચકાંક – પીએમઆઈમાં વધારો તથા સેવા ક્ષેત્રની પ્રગતિ – આ બધા જ પરિબળો ધ્યાનમાં લેતા ભારતના અર્થતંત્રે દિશા બદલીને પ્રગતિની દિશામાં આગળ વધવાની શરૂઆત કરી એમ ચોક્કસ કહી શકાય.
એવી જ રીતે લોકડાઉન પછીના પ્રથમ ત્રણ માસમાં જીડીપીમાં નોંધપાત્ર ઘટાડો થઈને માઇનસ 23 ટકા નોંધાયો અને ત્યારબાદના ત્રણ માસમાં સહેજ વધીને માઇનસ 7.5 ટકા થયો છે.
બાંધકામ સહિતના બધા જ ક્ષેત્રો ધ્યાનમાં લેતા આ બાબત આશાદાયક ગણાવી શકાય.
નાણાં મંત્રાલય સાથે સંલગ્ન આર્થિક બાબતોના વિભાગે પણ નોંધ્યું છે કે, લોકડાઉન પછી અપાયેલી તબક્કાવાર છૂટછાટો તથા અર્થતંત્ર ને ગતિ આપવા જાહેર કરાયેલા પેકેજોના પરિણામે અર્થતંત્રે અંગ્રેજી અક્ષર વી મુજબ – અર્થાત્ અચાનક ધીમે પડ્યા બાદ ફરીથી પ્રગતિના પંથે આગળ વધવાની શરૂઆત કરી છે.
ઉત્પાદન ક્ષેત્રે સાધેલી નોંધપાત્ર પ્રગતિએ આ ઘટનામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ઉત્પાદન ક્ષેત્ર – માઇનસ 39 ટકાએ પહોંચ્યું હતું પણ તે પછીના ત્રણ માસમાં તેમાં નોંધપાત્ર વધારો થઈને પ્લસ શૂન્ય પોઈન્ટ 6 ટકાનો વધારો નોંધાયો.
ઔદ્યોગિક માલસામાનની માગણીમાં થયેલા વધારાના કારણે ઉત્પાદનક્ષેત્ર ફરીથી બેઠું થયું છે.
નવેમ્બર માસમાં જીએસટીની આવક એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયા થઈ હતી. આ આવક ગયા વર્ષના નવેમ્બર માસની સરખામણીએ માત્ર 1.4 ટકાનો વિકાસદર બતાવે છે.
આમ છતાં, ઓક્ટોબર માસની જીએસટીની આવકની સરખામણીએ તથા ચાલુ નાણાંકીય વર્ષમાં લોકડાઉનના અમલના લીધે જીએસટીની આવકમાં થયેલી ઘટને જોતા નવેમ્બરની જીએસટીની આવક નોંધપાત્ર ગણાવી શકાય. એટલું જ નહીં પણ તેની મદદથી રાજ્યોની જીએસટીની આવકમાં થયેલી ઘટને પણ ઓછી કરી શકાશે.
એવી જ રીત નાણાંકીય વર્ષની શરૂઆતમાં જીએસટીની આવક ઘટી હતી, પણ ઓક્ટોબર અને નવેમ્બર માસમાં કેન્દ્રીય વેરા થકીની આવકમાં વધારો થયો હોવાનું કેગે પણ નોંધ્યું છે.
અપ્રત્યક્ષ વેરા તથા વ્યક્તિગત આવકવેરાએ પણ અર્થતંત્રને નવું બળ આપ્યું છે.
તહેવારોની મોસમમાં વસ્તુનો વપરાશ વધતાં કેન્દ્રીય જીએસટી, એક્સાઇઝ તથા કસ્ટમ વેરા દ્વારા થતી આવકમાં પણ નોધપાત્ર વધારો જોવા મળ્યો છે.
રેટીંગ એજન્સી મૂડીઝે પણ નોંધ્યું હતું કે, લોકડાઉન પછીના સમયગાળામાં ગ્રાહકોની માંગણીમાં વધારો થતાં ભારતીય કંપનીઓની આવકમાં પણ વધારો થયો છે. સમગ્ર અર્થતંત્રની ગતિ જોતા વર્ષ 2021માં ભારતીય કોર્પોરેટ જગતની સ્થિતિ સ્થિર રહેશે તેમ કહી શકાય.
ધિરાણની સરળતાથી ઉપલબ્ધતા તથા ઓછા વ્યાજદરો પણ કંપનીઓની સ્થિતિ ઉત્તરોત્તર મજબૂત બનાવશે, તેમ કહી શકાય.
ભારતના બાંધકામ તથા પાયાના ક્ષેત્રોમાં થયેલો સુધારો ધ્યાનમાં લઈને કેન્દ્રીય વાણિજ્યમંત્રી પિયૂષ ગોયલે અર્થતંત્રની સારી સ્થિતિનું વર્ણન કર્યું હતું.
વેપાર બોર્ડના સભ્યોની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં શ્રી પિયૂષ ગોયલે વૈશ્વિક પુરવઠા શ્રેણી દ્વારા ભારતીય માલસામાનની માંગણીમાં થયેલો વધારો, ભારતના સ્થાનિક ઉદ્યોગો માટે ફાયદાકારક નિવડશે.
તેમજ ભારતનું અર્થતંત્ર અન્ય મુક્ત અર્થતંત્રો સાથે વધુ પારદર્શક રીતે તથા વધુ કાર્યક્ષમ રીતે જોડાશે.
જોકે, કેટલાંક અર્થશાસ્ત્રીઓ એવી ચેતવણી પણ આપી રહ્યા છે કે, સમગ્ર રીતે માગણીનું પ્રમાણ અપેક્ષા કરતાં ઓછું રહેવાથી, અર્થતંત્રમાં ગતિના મળેલાં સંકેતો જાળવી શકાશે, તેવું માની શકાય નહીં.
આથી જ અર્થતંત્રમાં રોજગારીની વિપુલ તકો ધરાવતા હોટેલ, પ્રવાસન ઉદ્યોગોમાં વધુ લોકોની રોજગારી છીનવાય નહીં અને તેમની પ્રગતિ સુનિશ્ચિત કરે તેવા પગલા લેવા પડશે.
આ ક્ષેત્રે રોજગારીની તકો ઘટતા અર્થતંત્રમાં હાલમાં દેખાઈ રહેલી પ્રગતિને ભવિષ્યમાં અસર થઈ શકે છે.
શ્રીરંગ તેંડુલકર, રમેશ પરમાર
લેખક – જી.શ્રીનિવાસન,
વરિષ્ઠ પત્રકાર
Comments
Post a Comment